Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

આણંદ જિલ્લામાં છેલ્લા એક મહિનામાં 224 વીજચોરીના ગુનાહ ઝડપવામાં આવ્યા

વલ્લભવિદ્યાનગર : આણંદ એમજીવીસીએલ સર્કલ કચેરીના કાર્યક્ષેત્રમા આવતા શહેરી ગ્રામ્ય વિસ્તારોમાં ગત માસે ઇજનેરો, અધિકારીઓ, ઇલેટ્રીશ્યન સહિતની ટીમે ઓચિંતુ ચેકીંગ હાથ ધરીને ૧૦૬૨ કનેકશનોની ચકાસણી કરી હતી. જેમાં વીજચોરીના ૨૨૪ કિસ્સાઓ ઝડપાતા કસુરવારોને ૨૩.૩૫ લાખનો દંડ ફટકારીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વર્તુળ કચેરી આણંદના કાર્યક્ષેત્ર હેઠળની પેટા વર્તુળ કચેરીઓમા સમાવિષ્ટ તમામ આણંદ, પેટલાદ, બોરસદ, ઉમરેઠ, ખંભાત, આંકલાવ, સોજીત્રા, તારાપુર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમા સપ્ટેમ્બર માસ દરમ્યાન વીજકંપનીના અધિકારીઓ, ઇલેકટ્રીશ્યનો, વાયરમેન, સુરક્ષાકર્મીઓની ટીમે ઘરેલુ, કોમર્શિયલ, ખેતીવિષયક ૧૦૬૨ કનેકશનોની તપાસ કરી હતી. જેમાં વીજપૉલ ઉપરથી બારોબાર  લાઇટ મેળવવી, લાઇનો ઉપર લંગસિયા નાંખીને વીજપ્રવાહમા અવરોધ ઉભો કરવો, તંત્ર કે અધિકારીઓની પરવાનગી વિના પોતાના કનેકશનમાંથી પાડોશી કે અન્ય વ્યક્તિઓને ગેરકાયેદસર જોડાણ આપવુ, વીજ મીટર સાથે ચેડાં કરવા, ઘરેલુ કનેકશનનો ખેતી વિષયક ઉપયોગ, કોમર્શિયલ જોડાણનો ડોમેસ્ટીક ઉપયોગ, હેતુફેર સહિતના કિસ્સાઓમાં ૨૨૪ વીજચોરી ઝડપાઇ હતી.  

જેથી અધિકારીઓની ટીમે તમામ કસુરવારોને ૨૩.૩૫ લાખના દંડનીય બિલો ઇસ્યુ કરી દંડ તત્કાલિન ભરપાઇ કરવા તાકીદ કરતા વીજ ગેરરીતિ આચરતા તત્વોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.

(5:58 pm IST)