Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

ગરવા ગુજરાતનો સાહિત્યિક વારસો અલભ્ય અને અદભુત છે : ભૂપેન્દ્રભાઇ પટેલ

ગુજરાત દીપોત્સવી અંક-૨૦૭૭નું મુખ્યમંત્રીના હસ્તે વિમોચન

અમદાવાદ :માહિતી ખાતા દ્વારા પ્રકાશિત ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત ૨૦૭૭ને વિમોચન કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગરવા ગુજરાતનો સાહિત્યિક વારસો અલભ્ય અને અદભુત છે. ગુજરાતનું ખમીર અને ઝમીર દીપોત્સવી અંકના માધ્યમથી ઉજાગર થાય છે. લબ્ધપ્રતિષ્ઠિત ગુજરાતી સાહિત્ય સર્જકોની નિવડેલી કલમે ગુજરાત દીપોત્સવી અંક વાંચકો માટે પ્રતિવર્ષનું યાદગાર સંભારણું બની જતું હોય છે એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કે. કૈલાસનાથને જણાવ્યું હતું કે, ગુજરાત દીપોત્સવી અંક ગુજરાતી વાચકોમાં જબરજસ્ત લોકચાહના ધરાવતું અત્યંક લોકપ્રિય પ્રકાશન છે. મુખ્યમંત્રીના સચિવ સુશ્રી અવંતિકા સિંઘે ગુજરાત દિપોત્સવી અંકની રૂપરેખા આપી હતી. માહિતી નિયામક ડી. પી. દેસાઈએ ગુજરાત દીપોત્સવી અંકની વિગતો આપતાં જણાવ્યું હતું કે, લબ્ધપ્રતિષ્ઠિત ચિંતકોની કલમે ૩૧ અભ્યાસલેખો, ૩૨ નવલિકાઓ, ૧૯ વિનોદિકાઓ, ૧૦ નાટિકાઓ અને ૯૯ કાવ્ય રચનાઓથી દીપોત્સવી અંક દિવાળીના તહેવારોમાં વાંચકો માટે ઉત્તમ વાંચન રસથાળ બની રહેશે. આ ઉપરાંત ગુજરાતના જાણિતા ચિત્રકારો અને તસવીરકારોની ચિત્રો અને તસવીરોથી ગુજરાત દીપોત્સવી અંક નયનરમ્ય અને આકર્ષક રીતે પ્રસ્તુત કરવામાં આવ્યો છે એમ તેમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે અધિક માહિતી નિયામકો સર્વ અરવિંદભાઈ પટેલ અને પુલકભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા.

 

(7:17 pm IST)