Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

યુવાધનને રોજગારી પુરી પાડવાની દિશામાં રાજ્ય સરકારની નવતર પહેલ:રોજગાર સેતુ થકી રાજ્યનો યુવાન મેળવશે રોજગારલક્ષી તમામ માહિતી આંગળીના ટેરવે

૬૩-૫૭-૩૯૦-૩૯૦ ડાયલ કરી મેળવી શકાશે:ખાનગી અને જાહેર ક્ષેત્રોમાં ઉપલબ્ધ રોજગારની માહિતી: રાજ્યનો યુવા કરી શકશે કોલ સેન્ટરના માધ્યમથી જિલ્લા રોજગાર કચેરી સાથે સીધો સંવાદ: SMS ના માધ્યમથી પણ અપાશે રોજગારલક્ષી માહિતી: 'ઓનલાઇન ભરતી મેળા પખવાડિયા' દરમિયાન ૨૭૦ ઓનલાઇન ભરતી મેળાઓનું આયોજન : ૬૦૦ જેટલા નોકરી દાતાઓ દ્વારા ૨૫૦૦૦ થી વધુ ઉમેદવારોને રોજગારીની સુવર્ણ તક આપવામાં આવશે

અમદાવાદ : મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે ‘રોજગાર સેતુ’ તેમજ ‘ઓનલાઇન ભરતી મેળા પખવાડિયા’નો શુભારંભ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ આ નવતર પહેલથી રાજ્યના યુવાનોને રોજગારલક્ષી તમામ માહિતી આંગળીના ટેરવે મળી રહેશે એમ રોજગાર અને તાલીમ નિયામકની યાદીમાં જણાવવામાં આવ્યું છે.  
રોજગાર સેતુ થકી રાજ્યનો યુવાન ઘરે બેઠા જ ફક્ત એક નંબર ૬૩-૫૭-૩૯૦-૩૯૦ ડાયલ કરી ખાનગી અને જાહેર ક્ષેત્રોમાં ઉપલબ્ધ રોજગારની માહિતી મેળવી શકશે.  રાજ્યના કોઈ પણ જિલ્લાની રોજગાર કચેરીની સેવાઓ સહિતની તમામ પ્રકારની અભ્યાસલક્ષી, રોજગારલક્ષી તથા સ્વરોજગારી વિષયક નાણાંકીય/સાધન સહાય વિશેની માહિતી પણ મેળવી શકશે. આ નવતર પહેલના પરિણામે રાજ્યનો કે રાષ્ટ્રનો કોઈ પણ  યુવા કોલ સેન્ટરના માધ્યમથી જિલ્લા રોજગાર કચેરી સાથે સીધો સંવાદ કરી જરૂરિયાત મુજબની માહિતી મેળવી શકશે.
આ નંબર ડાયલ કર્યા બાદ ૧ થી ૪ અંક દબાવવાથી રોજગાર કચેરીઓની સેવાઓ અંગે તથા ૫ અંક દબાવવાથી ઉમેદવાર કાઉન્સેલર સાથે સીધો સંવાદ કરી શકશે. સંવાદ પૂર્ણ થયે SMS ના માધ્યમથી ઉમેદવારને રોજગાર કચેરીની વિગત પણ પ્રાપ્ત થશે. આ કોલ સેન્ટરમાં રાજ્યભરમાંથી ૭૫ જેટલા કાઉન્સેલર સેવાઓ આપશે. 
રાજ્યનો યુવા પોતાની અભિરૂચિ, શક્તિઓ, યોગ્યતા અને વ્યક્તિત્વના લક્ષણો મુજબ કારકિર્દી કે સેવાની પસંદગી કરી શકે તેવા ઉમદા હેતુ થી રાજ્ય સરકાર તા. ૧૨મી જાન્યુઆરીથી ૨૫મી જાન્યુઆરી ૨૦૨૧ ઓનલાઇન ભરતી મેળા પખવાડિયાની ઉજવણી  કરી રહી છે. આ ઓનલાઇન ભરતી મેળા પખવાડિયાની ઉજવણી દરમિયાન ૨૭૦ ઓનલાઇન ભરતી મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૬૦૦ જેટલા નોકરી દાતાઓ દ્વારા ૨૫૦૦૦ થી વધુ ઉમેદવારોને રોજગારીની સુવર્ણ તક આપવામાં આવશે. 
રાજ્યના યુવાઓને કારકિર્દી ઘડતરમાં ચોક્કસ દિશા મળે તે માટે ‘મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના’- માહિતી પુસ્તિકા પણ રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી છે. 
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં આજે ગુજરાતે વિકાસ તરફી હરણફાળ માંડી છે ત્યારે રાજ્યમાં યુવાનો માટે જુદા જુદા ક્ષેત્રોમાં સ્કીલ્ડ - અનસ્કીલ્ડ રોજગારીની વિશાળ તકોનું નિર્માણ થયું છે ત્યારે આ પહેલ યુવાનોના કારકિર્દીના સ્વપ્નોને સફળતાના દ્વાર સુધી લઈ જશે. આમ કોરોના મહામારીને કારણે સર્જાયેલ કપરી પરિસ્થિતિમાં પણ રાજ્યનું યુવાધન રોજગારીથી વંચિત નહિ રહે અને રાજ્યના ઉદ્યોગોને પણ સતત કુશળ માનવબળ મળી રહેશે અને સક્ષમ રાજ્ય થકી સક્ષમ રાષ્ટ્રનું  નિર્માણ થશે.

(8:01 pm IST)