Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

નર્મદા જિલ્લામાં કોરોનાની વિકટ સ્થિતીમાં આરોગ્યની સુવિધાઓ બાબતે નર્મદા બાર એસો.દ્વારા આરોગ્ય મંત્રીને રજુઆત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાનું ભરૂચ જિલ્લામાંથી વિભાજન સને - ૧૯૯૭ માં થયેલ અને તે વિભાજનને ૨૪ વર્ષ ઉપરાંતનો સમય થયો છે,છતાં આજદિન સુધી જિલ્લાના વડા મથક રાજપીપલામાં આરોગ્યની જરૂરીયાત અને સેવાઓ,શિક્ષણ જેવી જરૂરીયાતોથી નર્મદા જિલ્લો અને તેનું વડુ મથક વંચીત છે.
  હાલની કોરોનાની કપરી પરીસ્થિતીમાં નર્મદા જિલ્લાની જનતાને કોરોનાની તથા અન્ય સારવાર માટે વલખાં મારવા પડે છે અને નજીકના મોટા જિલ્લામાં વડોદરા , ભરૂચ , સુરત વિગેરે જગ્યાએ જઈ સારવાર લેવી પડે તેવી પરીસ્થિતીથી ઉપસ્થિત થઈ રહી છે અને અન્ય જિલ્લાઓમાં પણ જનાર દર્દીઓને પુરતી સારવાર મળતી નથી તથા હોસ્પીટલોમાં પણ નથી મળતી આમ અન્ય જિલ્લામાં જતા પણ તેમને પુરતી સારવાર અને સુવિધાઓ ન મળતા ઘણાં લોકોના મૃત્યુ થાય છે.આ સંજોગોમાં નર્મદા જિલ્લાના ઘણાં લોકોને ઈમરજન્સી સારવાર ન મળતા અને અન્ય જિલ્લામાં સારવાર લેવા જતી વેળાએ તેમના મૃત્યુ થાય છે.નર્મદા જિલ્લામાં કોરોનાની સારવાર કરવા માટે પુરતા ડૉક્ટરો પણ નથી ઓકસીજન , દવાઓ - ઈજેકશન વિગેરેની પણ પુરતી વ્યવસ્થા નથી.છેલ્લાં ૨૪ વર્ષથી અત્યાર સુધી નર્મદા જિલ્લામાં એક પણ એમ.ડી. ફિઝીશયન ડૉકટર કે અન્ય સ્પેશીયલ જ્ઞાન ધરાવતા તબીબો મળેલ નથી અને અન્ય જિલ્લાઓની સરખામણી માં નર્મદા જિલ્લા સાથે આવો ભેદભાવ સમજી શકાય એમ નથી હાલની પરીસ્થિતીમાં એક જ એડહોક એમ.ડી. ડૉકટર છે અને એ પણ હાલના સંજોગો માં હોમ કોરનટાઈન છે.જેથી નર્મદા જિલ્લામાં કોરોનાના સંક્રમણથી મૃત્યુનું તાંડવ પુરજોશમાં ચાલી રહ્યું છે પહેલે થીજ નર્મદા જિલ્લામાં નર્સિંગ સ્ટાફ , પેરા - મેડિકલ સ્ટાફ અને અન્ય તજજ્ઞ ડૉકટરોની અછત છે હાલની ગંભીર પરીસ્થિતી માં નર્સિંગ સ્ટાફ , પેરા - મેડિકલ સ્ટાફ તથા તજજ્ઞ ડોકટરો તથા અન્ય જગ્યાએ અન્ય જિલ્લાની હોસ્પીટલોમાં અન્ય જિલ્લાના લોકોની સારવાર માટે સ્થળાંતરીત કરવામાં આવી રહેલ છે, હાલની ગંભીર પરીસ્થિતીમાં આ નિર્ણય લેતા પહેલા શું એક પણ વાર ઉપરી તંત્રએ વિચારસુધ્ધાં કરેલ નહી હોય કે , આ પ્રકારના ખોટા નિર્ણયથી નર્મદા જિલ્લાની પ્રજાને કેટલી હાડમારી વેઠવી પડશે અને પ્રજા વગર સારવારે કેટલી હેરાન થશે ? આવી કોઈ દયા કે લાગણીની ભાવના આવી નહી હોય ? હાલ કોરોના સંક્રમણમાં કોરોનાને રોકવા અને તેની ચેન તોડવા અને કોરોનાની સારવાર માટે ઓકસીજન કે અન્ય તબીબી સાધનો પુરતા પ્રમાણમાં ઉપલ્બધ નથી પરંતુ જેટલા ઉપલ્બધ છે તેનો પુરેપુરો ઉપયોગ કરવા માટે પુરતા ટેકનીશયન નથી કે તેનો ઉપયોગ કરનાર જાણકાર તબીબી કે અન્ય કર્મચારીઓ નથી,હાલમાં નર્મદા જિલ્લામાં ઉપલ્બધ વેન્ટીલેન્ટ તથા અન્ય સાધનો અન્ય જિલ્લામાં સ્થળાંતરીત કરવામાં આવી રહેલ છે તેવું જાણવા મળેલ છે તેનું કારણ પણ સમજી શકાય તેમ નથી . જેથી આરોગ્યવર્ધક દવાઓ અને સાધનો અને સુવિધાઓ નર્મદા જિલ્લાને પુરી પાડવી, અમો નર્મદા જિલ્લા વકિલ બાર એશોશીયેશન , નર્મદા જિલ્લા તથા રાજપીપલા નગરની હાલની સ્થિતી જોઈ ચીંતીત છીએ અને નર્મદા જિલ્લામાં હાલની પરીસ્થિતી જોતા કોરોનાની સારવાર કરવા માટે સક્ષમ અને યોગ્ય લાયકાત ધરાવતા ડૉકટરો તથા નર્સિંગ, પેરા મેડિકલ સ્ટાફ અને અદ્યતન સાધનોને અમલમાં લાવવા માટે નિષ્ણાંત ટેકનીશીયન સ્ટાફ તથા જરૂરી ઈજેકશન અને દવાઓ તાકીદે પુરા પાડવા માટે વિનંતી કરાઈ છે. અને હાલની પરીસ્થિતીને ધ્યાને લેતા અમારી લાગણી તથા વિનંતીને વાંચા આપશો અને જો તેમ નહી થાય તો નર્મદા જિલ્લા બાર એશો. તથા નર્મદા જિલ્લાના અગ્રણી નાગરીકો સાથે રહી આ અંગે યોગ્ય પગલાં ભરવા મજબુર થશે તેમ બાર એસો.ના પ્રમુખ કુ.વાંદનાબેન ભટ્ટ સહિતના હોદેદારો એ રજુઆત કરી છે.

(11:43 pm IST)