Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

રાજ્યના ૧૧૫ સરકારી વકીલોના પ્રોબેશન પૂર્ણ થયાના હુકમો કરાયા

એકજ સ્થળે ચાર વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવતા ૧૭૮ સરકારી વકીલોની બદલી

રાજકોટ તા.૧૫

કાયદા વિભાગ હેઠળના તમામ સરકારી વકીલો (આસીસ્ટન્ટ પબ્લીક પ્રોસીકયુટર) માટે તાજેતરમાં ગુજરાત નેશનલ લો યુનિવર્સટી ખાતે “કન્વિકશન રેટ : સરકારી વકીલોની ભૂમિકા” વિષય ઉપર યોજાયેલ પરિસંવાદમાં કાયદા મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સરકારી વકીલોના પ્રોબેશન પૂર્ણ થયાના હુકમો તાત્કાલિક  કરી આપવાની જાહેરાત કરી હતી, જે અન્વયે કાયદા વિભાગ ધ્વારા આવા પ્રોબેશન પૂર્ણ થયાના ૧૧૫ સરકારી વકીલોના હુકમો કરી દેવામાં આવ્યા છે.  

જે સરકારી વકીલોની ર૦૧૯ની છેલ્લી બેચમાં નિમણૂંક થઇ હતી, તેમણે વર્ગ-ર ના અધિકારી તરીકે સરકારી સેવામાં બે વર્ષની સંતોષકારક સેવા પૂર્ણ કર્યા બાદ જે પ્રોબેશન પૂર્ણ થયાના આ હુકમો થયા બાદ હવે પછી જે સરકારી વકીલશ્રીઓએ તેમની હિન્દી / સીસીસી પ્લસની પરીક્ષા પાસ કરવાની બાકી છે,  તે પાસ કર્યેથી  ખુબ જ ઝડપથી તેઓના પણ પ્રોબેશન પૂર્ણ કરતા હુકમો કરવામાં આવશે તેમ મંત્રીશ્રીએ જણાવ્યુ હતુ. 

વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું કે આ પરિસંવાદમાં કરેલ જાહેરાત મુજબ,રાજય સરકારની સ્થાયી સૂચના અન્વયે જે સરકારી વકીલો એકજ સ્થળે ચાર વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવે છે, તેવા કુલ-૧૭૮ સરકારી વકીલોની જાહેરહિતમાં બદલી કરવામાં આવી છે. 

નવા શૈક્ષિણક સત્રથી આ સરકારી વકીલોની અન્યત્ર બદલી કરવામાં આવતા તેઓના  બાળકોના અભ્યાસને કોઇ અસર ન પહોંચે તેની પણ કાળજી રાખી મંત્રીશ્રીએ સંવેદના વ્યકત કરેલ છે. 

(6:56 pm IST)