Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

ગાંધીનગર-સરખેજ હાઇવે નજીક રસ્તો ઓળંગતા કલોલના આધેડને બાઇકચાલકે ટક્કર મારતા ગંભીર ઇજાથી મોત

ગાંધીનગર :  ગાંધીનગર સરખેજ હાઇવે ઉપર અડાલજ પાસે ગત રવિવારની રાત્રે રસ્તો ઓળંગી રહેલા કલોલના આધેડને બાઇકચાલકે ટક્કર મારતા ગંભીર ઇજાઓ પહોંચી હતી તેથી તેમને ગાંધીનગર સિવલથી અમદાવાદ લઇ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું આ અકસ્માતમાં બાઇકચાલક પણ ઘાયલ થયો હતો. આ મામલે અડાલજ પોલીસે ગુનો પણ દાખલ કર્યો છે.

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે કલોલમાં બોરીસણા રોડ ઉપર સત્યમ સ્ટેટસ એ-૩૦૪ ખાતે રહેતા અને મુળ અમદાવાદ-માંડલના પંકજભાઇ મગનલાલ બ્રહ્મભટ્ટ ગત રવિવારે રાત્રે ગાંધીનગર સરખેજ હાઇવે ઉપર અડાલજ પાસે રસ્તો ઓળંગી રહ્યા હતા તે દરમિયાન બાઇકચાલકે તેમને અડફેટે લીધા હતા જેથી તેમને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ લઇ જવામાં આવ્યા હતા ત્યાર બાદ તેમને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત થયું હતું.

આ અકસ્માતમાં બાઇકચાલકને પણ ઇજાઓ પહોંચી હતી. તેમના ભાઇ હર્ષદભાઇની ફરિયાદને આધારે અડાલજ પોલીસે બાઇકચાલક ચિલોડામાં રહેતા ભરતભાઇ અશોકભાઇ કલવાડી સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે. 

(6:27 pm IST)