Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

સુરતના પાંડેસરાની કૈલાશ ચોકડી નજીક પત્ની સાથે અનૈતિક સંબંધ ધરાવનાર પિતરાઈ ભાઈને ચપ્પુના ઘા જીકી મોતનેઘાટ ઉતારનાર પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

સુરત: શહેરનાપાંડેસરાની કૈલાશ ચોકડી પાસે પત્ની સાથે અનૈતિક સંબંધ ધરાવતા માસીયાઇ ભાઇ સાથે ઝઘડો થતા ચપ્પુના ઘા ઝીંકી દઇ યુ.પીવાસી યુવાન જાતે જ પોલીસ સમક્ષ હાજર થઇ ગયો હતો. જો કે માસીયાઇ ભાઇનું સારવાર દરમિયાન મોત થતા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પાંડેસરાની કૈલાશ ચોકડી નજીક ભક્તિનગરમાં રહેતા અને કલર કામ કરતા સતીષ ગામાભાઇ નિશાદ (ઉ.વ. 30 મૂળ રહે. બડહલગંજ, તા. ગોલા, જિ. ગોરખપુર, યુપી) ગત રોજ રાબેતા મુજબે કામ ગયો હતો. તે દરમિયાન તેના માસીયાઇ ભાઇ અમરજીત સત્તુ સહાની (ઉ.વ. 26) એ ફોન કરી કૈલાશ ચોકડી પાસે મળવા બોલાવ્યો હતો. જયાં અમરજીતની સાથે સતીષની પત્ની મુન્નીદેવી (ઉ.વ. 27) પણ હાજર હતી. ઉલ્લેખનીય છે કે પત્ની મુન્નીદેવીનું છેલ્લા બે વર્ષથી માસીયાઇ ભાઇ અમરજીત સાથે અનૈતિક સંબંધ હોવાની વાતથી વાકેફ સતીષે પત્નીને તારે જો અમરજીત સાથે રહેવું હોય તો આપણે પોલીસ સ્ટેશન જઇ કાયદાકીય કાર્યવાહી કરી છુટા થઇ જઇએ એમ કહ્યું હતું. પરંતુ આ બાબતે અમરજીતે ઇન્કાર કરતા સતીષ સાથે ઝઘડો થયો હતો. જેથી સતીષે ચપ્પુ વડે હુમલો કરી અમરજીતના પેટના ભાગે ત્રણથી ચાર ઘા મારી દીધા હતા.

જેને પગલે લોહીલુહાણ હાલતમાં અમરજીતને સારવાર માટે મુન્નીદેવી નવી સિવિલ હોસ્પિટલમાં લઇ ગઇ હતી. જયારે પત્ની સાથે અનૈતિક સંબંધ રાખનાર માસીયાઇ ભાઇને ચપ્પુના ઘા ઝીંકી સતીષ પાંડેસરા પોલીસ સમક્ષ હાજર થઇ ગયો હતો. પોલીસે સતીષ વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો જો કે આજે સવારે અમરજીતનું સારવાર દરમિયાન મોત થતા પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પ્રેમીનું મોત થતા અને પતિ જેલમાં જતા મુન્નીદેવી બે સંતાન સાથે ઘરને તાળું મારી રફુચક્કર થઇ ગઇ છે. 

(5:10 pm IST)