Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

અમદાવાદના યુવાનનો PSIના ત્રાસથી આપઘાત

સ્યુસાઈડ નોટમાં પીએસઆઈનો ઉલ્લેખ કરાયો : પોલીસે જયેન્દ્ર કોસ્ટી, નરેન્દ્ર કોસ્ટી અને પી.એસ. આઈ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે

અમદાવાદ,તા.૧૫ : આમ તો પોલીસ  પ્રજાના રક્ષક કહેવાય છે.  આ રક્ષક જ્યારે ભક્ષક બની જાય તો શું? પ્રજાની સેવા કરવાનો હંમેશા જેનો ઉદ્દેશ હોય છે. એવા જ પોલીસ કર્મચારીના ત્રાસથી શહેરમાં ગીતા મંદિર વિસ્તારમાં એક યુવકે આત્મહત્યા કરી છે. પીએસ આઈના ત્રાસથી આત્મહત્યા કરીને જીવન ટુંકાવ્યું છે. ગીતા મંદિર વિસ્તારમાં રહેતા પ્રેમજીભાઈ રેવરે ગઇકાલે સાંજે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. પોલીસને જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. અને તપાસ કરતા તેમની પાસેથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમા બિગ બજાર ચોકીના પી. એસ. આઈ ગોહિલ અને તેમની દુકાનના પડોશી જયેન્દ્ર નામના વ્યક્તિ પ્રેમજી ભાઈને વારંવાર માનસિક ત્રાસ આપતા હતા. જેના પરિણામે તેઓએ આત્મહત્યા કરી હોવાનો ઊલેખ્ કર્યો છે. સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે, અમારી સાથે ખૂબ જ અન્યાય થયો છે.

              અમારી દુકાનની પાછળ જયેન્દ્ર કોસ્ટી અને બિગ બજારના ગોહિલ સાહેબ બન્ને મળીને અમારી ઉપર ખોટા કેસ કરીને ખોટી એફ.આઈ.આર કરીને અમને દબાણ કરે છે અને પી. એસ. આઈ ગોહિલ સાહેબ અમારું કાંઈ સાંભળતા નથી. આ બન્ને જણાએ એમને ખૂબ ત્રાસ આપ્યા છે. જેથી અમે આ આત્મહત્યાનું પગલું ભરેલ છે. અને અમારું મારવાનુ કારણ આ બે જણા છે. પી. એસ. આઈ ગોહિલને કોઈપણ રજૂઆત કરીએ તો ઉલ્ટાનું અમોને દબાણ કરે છે અને કહે છે કે, તમો વધારે પડતું બોલશો તો તમને જેલમાં પૂરી દઈશ. આવી રીતે અમને ટોર્ચર કરે છે અને માનસિક હેરાન કરે છે. જયેન્દ્રના મકાન પાછળ અમારી મરજીની જગ્યામાં પાકો સ્લેબ ધાબુ ભરાવી રાખેલ છે. અમો એ કહ્યું છતાં અમારું કાંઇપણ સાંભળેલ નથી. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે સ્યુસાઇડ નોટના આધારે વધુ તપાસ શરૂ કરી છે. જોકે, તપાસ દરમિયાન શું હકીકત સામે આવે છે તે જોવું રહ્યું. પોલીસે જયેન્દ્ર કોસ્ટી, નરેન્દ્ર કોસ્ટી અને પી.એસ. આઈ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

(8:45 pm IST)