Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદ ખાબક્યો

તૌક્તે વાવાઝોડાની અસર શરૂ : ગુજરાતમાં આગામી એક-બે દિવસમાં તૌકતે વાવાઝોડું સંભવિતપણે ત્રાટકી શકે તે અંગેની ચેતવણી જારી કરાઈ

ડાંગ,તા.૧૬ : ભારતીય હવામાન વિભાગે રાજ્યના સૌરાષ્ટ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી એક-બે દિવસમાં તૌકતે વાવાઝોડું સંભવિતપણે ત્રાટકી શકે તે અંગેની ચેતવણીઓ જારી કરી દીધી છે. ત્યારે ગુજરાતના ડાંગ, નવસારી, અને વલસાડ જિલ્લામાં તેની અસર જોવા મળી રહી છે.  ડાંગમાં વાવાઝોડાની અસરના પગલે ગિરિમથક સાપુતારા ખાતે વરસાદ ખાબક્યો હતો. વરસાદ ખાબકતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી અને તેમજ ખેડૂતોમાં ચિંતા પ્રસરી જવા પામી હતી. આ ઉપરાંત નવસારી જિલ્લાના ખેરગામ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. તથા વલસાડ જિલ્લામાં પણ તેની અસર જોવા મળી હતી. વલસાડના ધરમપુરમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.  રાજ્યમાં વાવાઝોડાની સિવિયર અસર થશે.

       ૭ તારીખે વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારાની વધુ નજીક આવશે. ૧૮ મેના રોજ સવારે પોરબંદરથી મહુવા વચ્ચે ત્રાટકવાની સંભાવના છે. જેથી તેની સૌથી વધારે અસર સૌરાષ્ટ્ર, કચ્છ, જુનાગઢ, અમરેલી, વેરાવળ, દીવ પર થશે. આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  વાવાઝોડું હાલ ૧૫૦ થી ૧૬૦ કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. આ કારણે દરિયા કાંઠે ૨ નંબરનું સિગ્નલ એક્ટિવ કરવામાં આવ્યું છે. તમામ દરિયાકાંઠે ૧.૫ થી ૩ મીટર ઊંચા મોજા ઉછળશે. આથી દરિયા કાંઠેથી લોકોને સ્થળાંતર કરવાની કામગીરી એનડીઆરએફની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. વાવાઝોડાની અસર અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરોમાં થશે.

(7:38 pm IST)