Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

મંત્રીઓને જિલ્લાની જવાબદારી સોંપી તાત્કાલિક પહોંચવા સૂચના

તૌકતે વાવઝોડાને લઈને ગુજરાત સરકારની તૈયારી : દરેક જિલ્લામાં કોમ્યુનિકેશન નેટવર્ક, રોડ-રસ્તા અને વીજપુરવઠો જાળવવા માટે રેપિડ એક્શન ફોર્સની રચના

અમદાવાદ,તા.૧૬ : ગુજરાતમાં સંભવિત વાવાઝોડાના ખતરાને જોતાં સરકાર એક્શનમાં આવી છે અને રાજ્યના મંત્રીઓને જુદા જુદા જિલ્લાઓ સોંપી દેવામાં આવ્યા છે. આજે મુખ્યમંત્રી રુપાણીએ રાજ્યના દરિયા કિનારાના જિલ્લાઓમાં આ સંભવિત વાવાઝોડાની આફતનો ખતરો તોળાઇ રહ્યો છે ત્યારે સમગ્ર વહીવટીતંત્રને યુદ્ધના ધોરણે સજ્જ થઈ આ આવનારી આફતને પહોંચી વળવા આગોતરૂ આયોજન કરવા માર્ગદર્શન આપ્યું હતું તેમજ સંબંધિત જિલ્લાઓએ કરેલી વ્યવસ્થાઓની તલસ્પર્શી માહિતી મેળવી હતી. મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્યસચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવો પંકજ કુમાર અને એમ. કે દાસ, આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ, રાહત કમિશનર હર્ષદ પટેલ તેમજ વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા. ઝીરો કેઝ્યુઆલિટી' અભિગમ સાથે રાજ્ય સરકારના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર કંન્ટ્રોલ રૂમમાંથી ભારતીય હવામાન વિભાગ, હવામાન શાસ્ત્રીઓ સાથે સતત સંપર્કમાં રહીને ગુજરાતમાં આ સંભવિત વાવાઝોડાની મુવમેન્ટ પર નજર રાખીને યોગ્ય વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.

         કચ્છ, દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, ભાવનગર અને જામનગર સહિતના જિલ્લાઓમાં સંભવિત વાવાઝોડાની અસરને ધ્યાને રાખીને આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ વાવાઝોડા દરમિયન ઓછામાં ઓછું નુકસાન થાય તેવી તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે. આ જિલ્લાઓમાં સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા ગંભીર દર્દીઓ માટે વિશેષ વ્યવસ્થાઓ કરવાની સૂચનાઓ આપી છે. એટલું જ નહી ગમે તે સંજોગોમાં ઓક્સિજનનો પુરવઠો અને બીજી જરૂરી સારવાર વ્યવસ્થાઓ સતત જળવાઇ રહે તે માટે આ જિલ્લાના કલેક્ટરોને તાકીદ કરવામાં આવી છે. રાજ્યના મંત્રી મંડળના મંત્રીઓને જુદા જુદા જિલ્લાની જવાબદારી સોંપીને તમામ કામગીરી યોગ્ય રીતે થાય તેમજ જિલ્લા તંત્રને માર્ગદર્શ આપવા માટે તાત્કાલિક અસરથી તેમને સોંપાયેલા જિલ્લામાં પહોંચવા માટે સૂચના આપવામાં આવી છે. અહેવાલ મુજબ ભુપેન્દ્રસિંહ ચુડાસમા ગીરસોમનાથ, જયેશભાઇ રાદડિયા પોરબંદર, જવાહરભાઇ ચાવડા જૂનાગઢ, દિલીપકુમાર ઠાકોર અને વાસણભાઇ આહિર કચ્છ, ધર્મેન્દ્રસિંહ જાડેજા દેવભૂમિ દ્વારકા, કુંવરજીભાઇ બાવળીયા અમરેલી, ગણપતભાઇ વસાવા અને વિભાવરીબેન દવે ભાવનગર, સૌરભભાઇ પટેલ રાજકોટ, યોગેશભાઇ પટેલ મોરબી, આર. સી. ફળદુ જામનગર, કુમારભાઇ કાનાણી સુરત, રમણભાઇ પાટકર વલસાડ, ઇશ્વરભાઇ પરમાર નવસારી અને ઇશ્વરસિંહ પટેલને ભરૂચ તાત્કાલિક અસરથી પહોંચી જવા જણાવાયું છે.

(7:39 pm IST)