Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો અટલ ફૂટ ઓવરબ્રિજ ટૂંક સમયમાં જ લોકો માટે ખુલ્લો મૂકાશે: આગામી 31મી મે સુધી આ બ્રિજનું કામ પૂર્ણ થાય તેવી સંભાવના

આ ફૂટ ઓવરબ્રિજની પ્રેરણા પતંગ તેમજ ઉત્તરાયણની ઉજવણી પરથી લીધેલી છે: આ ગ્લાસ ફૂટ ઓવર બ્રિજ સરદાર બ્રિજ અને એલિસ બ્રિજ વચ્ચે બનાવવામાં આવ્યો છે

અમદાવાદ: અમદાવાદ શહેરની સુંદરતામાં વધારો કરતું વધુ એક સ્થળ ઉમેરાવા જઈ રહ્યું છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો અટલ ફૂટ ઓવરબ્રિજ ટૂંક સમયમાં જ લોકો માટે ખુલ્લો મૂકાશે. સત્તા પક્ષે બ્રિજની ચાલી રહેલા કામગીરી અંગે સમીક્ષા કરી હતી. આગામી 31મી મે સુધી આ બ્રિજનું કામ પૂર્ણ થાય તેવી સંભાવના છે.
અમદાવાદના સાબરમતી નદી કિનારા પર આવેલા આ આઇકોનિક પેડેસ્ટ્રીયન બ્રિજ એટલે અટલ ફૂટ ઓવર બ્રિજ કદાચ દેશનો પ્રથમ બ્રિજ હશે. સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ અને પૂર્વ ભાગને જોડતા અટલ ફૂટ ઓવર બ્રિજ આગામી સમયમાં દેશના પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ કરાશે. આ ફૂટ ઓવરબ્રિજની પ્રેરણા પતંગ તેમજ ઉત્તરાયણની ઉજવણી પરથી લીધેલી છે. આ ગ્લાસ ફૂટ ઓવર બ્રિજ સરદાર બ્રિજ અને એલિસ બ્રિજ વચ્ચે બનાવવામાં આવ્યો છે.
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી નદી ઉપર એલિસબ્રિજ તથા સરદાર બ્રિજની વચ્ચે રૂપિયા 74 કરોડ 29 લાખના ખર્ચે ફૂટ ઓવરબ્રિજનું આયોજન કરવામાં આવેલું છે. જે પૂર્વ અને પશ્ચિમ કાંઠાને જોડશે.
અટલ ફૂટ ઓવરબ્રિજની ખાસિયત: બ્રિજ ઉપર લોઅર તથા અપર પ્રોમીનાડ પરથી જઇ શકાશે. ફૂટ કિઓસ્ક (02 નંગ ), સિટીંગ કમ પ્લાન્ટર (14 નંગ), પારદર્શક કાચનું ફલોરિંગ (4 નંગ- 24 ચો.મી.) કુલ લંબાઇ: 300 મીટર. વચ્ચેનો વિરામ : ૧૦૦ મીટર
આ બ્રીજની પહોળાઈ બ્રિજના છેડેના ભાગે : 10 મીટર તેમજ બ્રિજના વચ્ચેના ભાગે : ૧૪ મીટર છે. આઇકોનિક સ્ટીલ બ્રિજમાં સ્ટાફનું વજન 2600 મે. ટન છે. લોખંડનું પાઇપનું સ્ટ્રક્ચર તથા રંગબેરંગી ફેબ્રીકની ટેન્સાઇલ સ્ટ્રક્ચર છત બનાવવામાં આવી છે.
વચ્ચેના ભાગે વુડન ફલોરિંગ, ગ્રેનાઇટ ફલોરિંગ, પ્લાન્ટર સ્ટેઇનલેશ સ્ટીલ અને ગ્લાસની રેલિંગ આવેલી છે. વચ્ચેના ભાગે ફૂડ કિઓસ્ક, બેસવાની તથા પ્લાનટેશની વ્યવસ્થા કરવમાં આવી છે. બ્રિજમાં ડાયનેમિક કલર ચેન્જ થઇ શકે તેવું એલઇડી લાઇટિંગ રાખવામાં આવ્યું છે.
સદર આઇકોનિક બ્રિજ રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ તેમજ અમદાવાદ શહેર માટે એક સ્ટેટસ બનશે. આ બ્રિજ એક એન્જિનિયરિંગ અજાયબી તરીકે ઓળખાશે. બ્રિજ પશ્ચિમ કાંઠે ફલાવર ગાર્ડન તથા ઇવેન્ટ ગ્રાઉન્ડના વચ્ચે પ્લાઝમાંથી થઇ પૂર્વ કાંઠે બનનારા એક્ઝિબિશન, કલ્ચરલ, આર્ટ સેન્ટરને જોડાશે. બ્રિજના કારણે અમદાવાદના લોકો સાબરમતી નદી તથા સાબરમતી રિવરફ્રન્ટ ટ્રાફિક વગર શાંતિથી માણી શકશે.
 

(5:51 pm IST)