Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર 6 ગામના પ્રશ્ને મુખ્યમંત્રી એક્શનમાં :નેતાઓ- અધિકારીઓને ગાંધીનગરનું તેડું

ભરૂચ સાંસદ મનસુખ વસાવા, પૂર્વ વનમંત્રી શબ્દશરણ તડવી, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, નર્મદા જી.પં.ન્યાય સમિતિ ચેરમેન દિનેશ તડવીની મુખ્યમંત્રી સાથે બેઠક

રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આવેલા 6 ગામના આદિવાસીઓ અને સરકાર વચ્ચે ચાલી રહેલા વિવાદ બાબતે ગુજરાત સરકાર યોગ્ય નિરાકરણ લાવવાના પ્રયાસો કરી રહી છે.હાલમાં જ કેવડિયામાં પાર્કિંગના નિર્માણ બાબતે નર્મદા નિગમ પોતાની જમીનનો સર્વે કરી રહ્યુ હતુ, દરમિયાન સ્થાનિકો સાથે ઘર્ષણ થયું હતું.કેવડિયા પોલીસે 15-20 લોકો વિરુદ્ધ ફરિયાદ કરી હતી.એ દરમિયાન ભાજપ શાસિત નર્મદા જિલ્લા પંચાયતના સભ્ય ન્યાય સમિતિ ચેરમેન દિનેશ તડવીએ પણ 6 ગામના આદિવાસીઓના પ્રશ્નો ઉઠાવ્યા હતા.એ તમામની વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર 6 ગામના વિકટ પ્રશ્ન મુદ્દે ઘર્ષણ અને વિવાદ વધતા નર્મદા નિગમના અધિકારીઓને મુખ્યમંત્રી રૂપાણીનું તાત્કાલિક તેડુ આવ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

ભરૂચ સાંસદ મનસુખ વસાવા, ગુજરાત સરકારના પૂર્વ વન પર્યાવરણ મંત્રી શબ્દશરણ તડવી, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, નર્મદા જી.પં.ન્યાય સમિતિ ચેરમેન દિનેશ તડવી અને નર્મદા નિગમના અધિકારીઓ તાત્કાલિક ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલય દોડી ગયા હતા.વિજય રૂપાણીએ એમની સાથે બેઠક કરી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના 6 ગામમાં લોકોના જે પ્રશ્નો છે એ પ્રશ્ન યોગ્ય છે કે કેમ અને જો યોગ્ય હોય તો એનો હલ કેવી રીતે લાવી શકાય એ તમામ બાબતોએ વિજય રૂપાણીએ વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી.

 અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના 6 ગામના લોકો એમ કહે છે કે સરકારે અમારી જમીન સંપાદિત કરી એનું વળતર આપ્યું નથી તો નર્મદા નિગમ એમ કહે છે કે વળતર ચૂકવાઈ ગયું હોવાના વાઉચર સરકારે કોર્ટમાં રજૂ કરી દીધા છે.હાલ સરકાર વધારાનું પેકેજ આપી રહી છે.આ વિવાદને લીધે પ્રોજેક્ટના નિર્માણ કાર્યમાં વિલંબ થઈ રહ્યો છે.એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડીયાને ઇલેક્ટ્રિક વેહિકલ સીટી બનાવવાની જાહેરાત કરી છે.એની માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઉપલબ્ધ કરાવવામાં 6 ગામ લોકોનો વિવાદ અવરોધ પેદા કરી રહ્યો છે.કેવડીયાને વહેલી તકે ઇલેક્ટ્રિક વેહિકલ સીટી બનાવાય એ માટે જ 6 ગામનો પ્રશ્ન હલ કરવો એટલો જ જરૂરી બન્યો છે.ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ આ જ કારણોસર તાડબતોડ અધિકારીઓ અને સ્થાનિક નેતાઓને તાત્કાલિક ગાંધીનગર બોલાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

કેવડિયાને ઇલેક્ટ્રિક વેહિકલ સીટી બનાવવાનો વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીનો પ્રોજેકટ છે.બીજી બાજુ 6 ગામના આદિવાસીઓ પોતાના પ્રશ્નોને લઈને વિરોધ કરી રહ્યા છે.હવે આ વિરોધનો પડઘો ઠેક દિલ્હી સુધી પડ્યો હોવાનું ચર્ચાઈ રહ્યુ છે.સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વડાપ્રધાન મોદીએ ગુજરાતના મુખ્યમંત્રીને આદેશ આપ્યા છે કે ઇલેક્ટ્રિક વેહિકલ સીટી પ્રોજેકટમાં વિલંબ થવો જોઈએ નહીં.PMO ના આદેશ બાદ જ રૂપાણીએ નર્મદા નિગમના અધિકારીઓ અને સ્થાનિક નેતાઓએ મિટિંગ માટે બોલાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

(7:33 pm IST)