Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

રાજ્યમાં પેટ્રોલ-ડીઝલની 30થી 40 ટકાની ઘટ : અનેક પેટ્રોલ પમ્પ પર લાગ્યા નો પેટ્રોલના બોર્ડ

એસોસિએશનના સેક્રેટરી ધીમંત ઘેલાણીએ કહ્યું કે BPCL અને HPCL કંપની તરફથી 30થી 40 ટકા જેવી સપ્લાય ઓછી

અમદાવાદ ; ગુજરાતના પેટ્રોલ પંપો પર પણ વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. કેટલાક પેટ્રોલ પંપો પર તો ડીઝલની અછતના બોર્ડ પર મારી દીધા છે. ત્યારે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને પણ સ્વીકાર્યું છે કે હાલ રાજ્યમાં પેટ્રોલ-ડીઝલની 30થી 40 ટકાની ઘટ છે. BPCL, HPCL તરફથી જથ્થો પૂરો પાડવામાં આવી નથી રહ્યો. રાજ્યમાં ખાસ કરીને ડીઝલની ભારે અછત સર્જાઈ છે. ત્યારે ચોમાસાની સીઝન શરૂ થઈ ગઈ છે, આવી સ્થિતિમાં ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જોકે પેટ્રોલ પંપ એસોસિએશને જણાવ્યું કે પેટ્રોલ પંપો પર લાઈનો લગાવવાની જરૂર નથી. લોકોને પૂરતા પ્રમાણમાં પેટ્રોલ મળી રહ્યો છે અને આગળ પણ મળતો રહેશે. જોકે ડીઝલની ઘટ સર્જાઈ છે અને આવનારા થોડા સમય સુધી તે રહેવાની છે.

 

એસોસિએશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે જણાવ્યું કે BPCL અને HPCL સાથે સપ્લાય નિયમિત કરવા બાબતે રાજ્ય સરકારની હાજરીમાં ત્રણ વખત બેઠક મળી ચૂકી છે. કંપનીઓ દર વખતે આશ્વાસન આપે છે કે પુરવઠો નિયમિત થઈ જશે પણ આવુ થતું નથી. પેટ્રોલ કરતાં ડીઝલમાં તો હાલત વધારે ખરાબ છે. કેમ આવું થઈ રહ્યું છે તે અંગે કંપનીઓએ કોઈ કરણ આપ્યું નથી.

એસોસિએશનના સેક્રેટરી ધીમંત ઘેલાણીએ જણાવ્યું કે BPCL અને HPCL કંપની તરફથી 30થી 40 ટકા જેવી સપ્લાય ઓછી છે. બીજું કે અવારનવાર ઓર્ડર આપવા છતાં જથ્થો મળવામાં વિલંબ થઈ રહ્યો છે. જેથી પેટ્રોલ પંપ માલિકોની મુશ્કેલી વધી છે. જોકે આઇઓસી તરફથી પુરવઠો નિયમિત મળતા લોકોને જરૂરિયાત મુજબનું પેટ્રોલ મળી રહે છે. લોકોએ ગભરવાની જરૂર નથી. લોકોને જરૂરિયાત મુજબની સપ્લાય ચાલુ જ છે.

  રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી નિયમિત પુરવઠો મળી રહ્યો નથી. ત્યારે હાલ તો ખૂબ જ અછત સર્જાઈ છે. અમદાવાદ, સુરત, વડોદરા જેવા મહાનગરોમાં પેટ્રોલ પુરાવતા વાહનો ચાલકોને જરૂરિયાત મુજબનું જ પેટ્રોલ-ડીઝલ આપવામાં આવી રહ્યું છે. જથ્થાની અછત છે તેમ કહી ટાંકી ફુલ કરી દેવામાં નથી આવી રહી. પેટ્રોલ પંપો પર લાંબી કતારો લાગી રહી છે. કેટલાક પેટ્રોલ પંપો પર કંપનીનો સપ્લાય ન હોવાના કારણે ડીઝલ બંધ છે, No Stock, તેવા બોર્ડ પણ જોવા મળી રહ્યા છે.

(12:49 am IST)