Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

બનાસકાંઠામાં પુત્રીની સગાઈ તૂટતા માતાએ જમાઈ સાથે ઘર માંડયું

વેવાઇ-વેવાણ બાદ હવે સાસુ-જમાઇ ! : અભયમની સમજાવટ બાદ મહિલા પોતાના સંતાનો પાસે પરત જવા માટે તૈયાર થઈ ગઈ છેઃ મહિલા છેલ્લા ચાર વર્ષથી યુવક સાથે રહેતી હતીઃ બંનેએ એક મંદિરમાં ફૂલહાર કરી લીધા હતા

બનાસકાંઠા, તા.૧૬: ૨૦૨૦ના વર્ષમાં એક કિસ્‍સાએ ગુજરાતમાં ખૂબ ચર્ચા જગાવી હતી. જેમાં દીકરા અને દીકરીના લગ્ન પહેલા વેવાઈ અને વેવાણ ભાગી ગયા હતા. આ આખો મામલો પોલીસ મથકે પહોંચ્‍યો હતો. બાદમાં સમાજની સમજાવટ બાદ બંને પરત આવી ગયા હતા. જોકે, દીકરા અને દીકરીના લગ્ન થાય તે પહેલા બંને પાછા ભાગી જતાં મામલો ફરી પોલીસ મથક પહોંચ્‍યો હતો. હવે બનાસકાંઠાના એક બનાવે રાજ્‍યમાં ખૂબ ચર્ચા જગાવી છે. બનાવ એવો છે કે દીકરીની જે યુવક સાથે સગાઈ થઈ હતી તે યુવક સાથે માતાએ ઘર માંડી લીધું છે!

સરહદીય જિલ્લા બનાસકાંઠાના આ કિસ્‍સાએ ખૂબ જ ચર્ચા જગાવી છે. જેમાં દીકરીનું સગપણ તૂટી ગયા બાદ તેની માતાએ જમાઈ સાથે સંસાર શરૂ કરી દીધો છે. ૧૦૮ અભયમ્‌ હેલ્‍પલાઇન પર એક ફોન કોલ આવ્‍યો હતો. જે બાદમાં આ સમગ્ર મામલો સામે આવ્‍યો હતો. હવે આ કિસ્‍સામાં સમાજના આગેવાનો અને અભયમ્‌ તરફથી મહિલાને પરત પોતાના ઘરે લઈ જવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

ગુજરાતના એક સમાચારપત્રમાં છપાયેલા અહેવાલ પ્રમાણે ૧૮૧ અભયમ હેલ્‍પલાઇન નંબર પર મદદ માટે એક કોલ આવ્‍યો હતો. જેમાં મહિલાએ ફરિયાદ કરી હતી કે તેનો પતિ તેના પર ત્રાસ ગુજારે છે. મહિલાની ફરિયાદ બાદ અભયમનો સ્‍ટાફ પોલીસ સાથે ફોન કરનાર મહિલાના ઘરે પહોંચ્‍યો હતો. અહીં મહિલાની વાત સાંભળીને ખુદ અભયમનો સ્‍ટાફ આશ્‍ચર્યમાં મૂકાયો હતો.

હકીકતમાં અભયમ પાસે મદદ માંગનાર મહિલાની ઉંમર ૪૬ વર્ષની હતી. મહિલાના પતિનું વર્ષો પહેલા મળત્‍યું થયું હતું. મહિલા પોતાના સંતાનો સાથે જીવન ગુજારી રહી હતી. આજથી ચાર વર્ષ પહેલા એક યુવક મહિલાની દીકરીને જોવા માટે આવ્‍યો હતો. જે બાદમાં બંનેનું સગપણ નક્કી કરવામાં આવ્‍યું હતું. કોઈ કારણસર મહિલાની દીકરી અને યુવકનું સગપણ અઢી મહિના જ ચાલ્‍યું હતું. જે બાદમાં આ કહાનીમાં ટ્‍વીસ્‍ટ આવ્‍યો હતો. દીકરીનું જે યુવક સાથે સગપણ થયું હતું તે ૩૦ વર્ષીય યુવક સાથે તેની માતાએ લગ્ન કરી લીધા હતા.

મહિલાની વાત સાંભળીને અભયમની ટીમે તેમને પોતાના સંતાનો પાસે પરત જવા માટે સજાવ્‍યા હતા. મહિલાને પોતાના પ્રથમ પતિથી ત્રણ દીકરી અને એક દીકરો છે. હાલ મહિલાના ચારેય સંતાનો તેના દાદી સાથે રહે છે. આ કેસમાં હવે અભયમની ટીમ અને સામાજિક અગ્રણીઓએ મહિલાને સમજાવીને પોતાના સંતાનો પાસે પરત લઈ જવાની તજવીજ હાથ ધરી છે. એવી પણ માહિતી મળી છે કે અભયમની સમજાવટ બાદ મહિલા પોતાના સંતાનો પાસે પરત જવા માટે તૈયાર થઈ ગઈ છે. મહિલા છેલ્લા ચાર વર્ષથી યુવક સાથે રહેતી હતી. બંનેએ એક મંદિરમાં ફૂલહાર કરી લીધા હતા.

(10:41 am IST)