Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

હેમરાજપુરાથી વણસોલ જવાના રસ્તે ટ્રેકટરે બાઇકને ટક્કર મારતા ચાલકનું ગંભીર ઇજાથી મોત

હેમરાજપુરા: શહેરથી વણસોલ તરફ જતા રોડ ઉપર આવેલા બળિયાદેવ મંદિર પાસે આજે બપોરના સુમારે ઈંટો ભરીને જતા ટ્રેક્ટરે બાઈકને ટક્કર મારતાં ચાલકનું સ્થળ પર જ મોત થયું હતુ. આ અંગે ભાલેજ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર વણસોલ તાબેના હેમરાજપુરા ખાતે રહેતો ગોપાલભાઈ ભલાભાઈ ગોહેલ (ઉ.વ. ૨૦)આજે બપોરના ત્રણેક વાગ્યાના સુમારે પોતાનું બાઈક નંબર જીજે-૨૩, ડીએ-૦૯૩૧નું લઈને હેમરાજપુરાથી વણસોલ તરફ જવા નીકળ્યો હતો. દરમ્યાન બળિયાદેવ મંદિર પાસે સામેથી આવતા ટ્રેક્ટરે બાઈકને ટક્કર મારતાં ગોપાલભાઈને માથામાં તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. ઘટનાની જાણ ૧૦૮ મોબાઈલ વાનને કરવામાં આવતાં તેઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા અને ગોપાલભાઈને તપાસ કરીને મૃત જાહેર કર્યો હતો. આ અંગે ભાલેજ પોલીસે ભલાભાઈની ફરિયાદને આધારે અકસ્માત સર્જીને સ્થળ પર ટ્રેક્ટર મુકીને ફરાર થઈ ગયેલા ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(5:07 pm IST)