Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

' કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું વિમોચન

રાજીવ ગાંધી ભવન ખાતે વિમોચન કરતાં કોંગ્રેસ પક્ષના પ્રમુખ જગદીશ ઠાકોર અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સુખરામ રાઠવા, સહિતના વરિષ્ઠ મહાનુભાવો અર્જુન મોઢવાડીયા, સિધ્ધાર્થ પટેલ, દિપક બાબરીયા: કોંગ્રેસ પક્ષ દ્વારા સતત ૧૭મા વર્ષે પ્રકાશીત “કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું ? કારકિર્દી માર્ગદર્શન પુસ્તક સ્પર્ધાત્મક વાતાવરણમાં ગુજરાતના વિદ્યાર્થી – વાલીઓ માટે પથદર્શક બનશે.

અમદાવાદ : “કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું વિમોચન પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યુ હતું કે,  ધોરણ-૧૨ પછી જીવનની પ્રગતિ માટે અભ્યાસક્રમોની પસંદગી અતિ આવશ્યક બની જાય છે, હાલના સ્પર્ધાત્મક વાતાવરણમાં ગુજરાતના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ પોતાની ક્ષમતા અનુરૂપ અભ્યાસક્રમ પસંદ કરી શકે અને તેમાં અસરકારક દેખાવ કરે એ માટે સતત સત્તરમા વર્ષે કારકિર્દી માર્ગદર્શન પુસ્તકથી માહિતી આપવાનો કોંગ્રેસ પક્ષ દ્વારા આ સંનિષ્ઠ પ્રયત્ન છે. 20 વર્ષ પહેલા શિક્ષણમાં ઉદ્યોગ વિષય ભણાવાતો, ભાજપ સરકારે તો શિક્ષણને ઉદ્યોગ વેપાર બનાવી દીધો છે.

 આંતરરાષ્ટ્રીય સંસ્થા યુનિસેફ, કેન્દ્રનાં નીતિ આયોગ અને રાજ્યનો ગુણોત્સવનો રિપોર્ટ રાજ્યના કથળતા શિક્ષણનું વરવું ચિત્ર રજૂ કરે છે. રાજ્યમાં શિક્ષણનું મોટાપાયે વ્યાપારીકરણ થઈ રહ્યું છે. સરકારી-ગ્રાન્ટેડ સંસ્થાઓનું માળખું તૂટતૂ જાય છે અને ખાનગી સંસ્થાઓમાં ફી ના ધોરણો વ્યાપકપણે ઉંચુ થતુ જાય છે. ગુજરાતમાં સૌને શિક્ષણ ઉપલબ્ધ બનાવવા માટેના પ્રયત્નો રાજ્ય સરકાર દ્વારા સતત ઓછા થતાં જાય છે અને શિક્ષણનું ઝડપથી વ્યાપારીકરણ થઈ રહ્યું છે. રાજયની ઈજનેરી-ફાર્મસી, ડિગ્રી, ડિપ્લોમા, સરકારી કોલેજોના ૫૫ ટકાથી વધુ અધ્યાપકોની જગ્યા લાંબા સમયથી ખાલી છે. ગ્રામ્ય વિસ્તારમાં 6000 જેટલી સ્કૂલોને તાળા મારે શું આ રીતે ભણશે ગુજરાત? શિક્ષક વિનાની શાળા, ગ્રામ સેવક વિનાનું ગામ, ડોક્ટર વિનાનું દવાખાનું, શાળા વિનાનું ગામ, આ તે કેવું ગતિશીલ ગુજરાત ? ‘વાંચે ગુજરાત’’ની જાહેરાત કરતી ભાજપ સરકારે ૧૫ વર્ષથી શાળા કોલેજ જાહેર વાંચનાલયમાં લાયબ્રેરીયનની ભરતી કરવામાં આવતી નથી.ગુજરાતમાં શિક્ષણનું સ્તર સુધરે તે માટે રાજ્ય સરકાર ચિંતીત બને તે ઘણું જ આવશ્યક છે. “કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન પુસ્તક તૈયાર કરનાર કોંગ્રેસ પક્ષના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી અને સહયોગીઓને કોંગ્રેસ પક્ષ તરફથી હાર્દિક અભિનંદન પાઠવ્યા હતાં.
કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું વિમોચન પ્રસંગે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સુખરામ રાઠવા, શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષની યુપીએ સરકારે “શિક્ષણના મુળભૂત અધિકાર” અપાવ્યો હતો પરંતુ તેનો અયોગ્ય અમલીકરણને પગલે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓના ભવિષ્ય ઘડતરને અવરોધે છે. નર્મદા,તાપી, કચ્છ, ભરૂચ, ડાંગ, અરવલ્લી, મહીસાગર, બનાસકાંઠા, દાહોદ, છોટાઉદેપુર સરેરાશ કરતાં પણ ખરાબ પરિણામ સામે આવ્યું છે. જ્યારે સુરત, વડોદરા, રાજકોટ જેવા શહેરોમાં પણ શિક્ષણની સ્થિતિ અતિ ખરાબ છે. ગુજરાતમાં તમામ સમાજના વિદ્યાર્થીઓ ઉજ્જવળ કારકિર્દી માટે શિક્ષણ માળખાની સુવિધા સાથે ગુણવત્તા સભર શિક્ષણ મળે તે અતિ આવશ્યક છે. ગુજરાતના વાલી – વિદ્યાર્થીઓ અથાક મહેનત – પરિશ્રમ કરી સફળતા માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે. ત્યારે રાજ્ય સરકારની જવાબદારી બને છે કે ગુજરાતના વિદ્યાર્થીઓના ભવિષ્યને કેન્દ્રસ્થાને રાખીને કામગીરી કરે. રાજ્યની જુદી - જુદી ઈજનેરી - ફાર્મસી તથા અન્ય ડીગ્રી અને ડીપ્લોમાં કોલેજોમાં વિદ્યાર્થી ગુણવત્તાસભર શિક્ષણ પ્રાપ્ત કરી શકતા નથી, પરિણામે નામાંકિત કંપનીઓના કેમ્પસ ઈન્ટરવ્યુ, પ્લેસમેન્ટમાં ખૂબ જ ઓછી નોકરીઓ મેળવતા હોય છે. એ આપણા માટે ચિંતાનો વિષય છે. કોરોના મહામારીના કપરા સમયમાં વિદ્યાર્થીઓને શિક્ષણને પડી રહેલી મુશ્કેલીઓથી સૌ વાકેફ છીએ. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના બાળકોને મોબાઈલ કનેક્ટીવીટી / ઈન્ટરનેટ અને ગેઝેટસના અભાવે શિક્ષણથી વંચિત રહ્યાં. વિદ્યાર્થી ભાઈ-બહેનોને કારકિર્દી ઘડવામાં મદદરૂપ થવાનો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનો સતત સત્તરમા વર્ષે મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી તથા સહયોગીઓએ ખુબ જ જહેમત ઉઠાવી છે, તે બદલ તેઓને હું કોંગ્રેસ પક્ષ વતી અભિનંદન પાઠવું છું.
“કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું વિમોચન પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયા, સિધ્ધાર્થભાઈ પટેલ અને એ.આઈ.સી.સી.ના પૂર્વ મહામંત્રી દિપક બાબરીયા શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, કેન્દ્રની કોંગ્રેસ સરકાર દ્વારા ગુજરાતમાં રાષ્ટ્રીય સંસ્થા આઈ.આઈ.ટી., એન.આઈ.ડી.ન્યુ કેમ્પસ, સેન્ટ્રલ યુનિવર્સિટી અને ઈન્ડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ફર્મેશન ટેક્નોલોજી સ્થાપના થઈ છે. જે ગુજરાત માટે ગૌરવરૂપ અને સીમાચિન્હરૂપ સાબિત થશે. ગુજરાત સરકાર શિક્ષણ માટેના નાણાં ઉત્સવ પાછળ વેડફી રહી છે. જેનાથી ગુજરાતના વિદ્યાર્થીઓ સારી શૈક્ષણિક સુવિધાઓ થી વંચિત રહે છે. કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાતમાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ પછીના અભ્યાસ માટે માર્ગદર્શન પુરું પાડતુ પુસ્તક પ્રકાશીત કરવાનું ઉમદા કાર્ય પક્ષના સંનિષ્ઠ આગેવાન ડૉ. મનિષ દોશી (એન્જીનીયર) અને તેમના તમામ સહયોગીઓ મારફત કરવામાં આવ્યું છે, જે ખૂબ જ સરાહનીય પ્રશંસનીય છે. તેઓ સર્વેને અભિનંદન પાઠવીએ છીએ.
સતત સત્તરમા વર્ષે “કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકના સંપાદક ડૉ. મનિષ દોશી(એન્જીનીયર)એ જણાવ્યું હતું કે, ધોરણ-૧૨ પછી અભ્યાસક્રમોની અનેક તકો રાજ્ય અને દેશ કક્ષાએ ઉપલબ્ધ છે ત્યારે જરૂર છે માત્ર સમયસર અને યોગ્ય માર્ગદર્શનની કોંગ્રેસ પક્ષ દ્વારા વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો તથા કારકિર્દી માર્ગદર્શન માટે કાર્યરત વિવિધ સંસ્થાઓ સાથે સંપર્ક કરીને વધુમાં વધુ માહિતી સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ પુસ્તકમાં આર્ટસ, કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ માટે ધોરણ-૧૨ પછી ઉપલબ્ધ ૨૦૦ થી વધુ અભ્યાસક્રમોની વિગતો સાથે વિશેષ કારકિર્દીના અભ્યાક્રમો અંગેની માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય સંસ્થાઓની માહિતી સાથે ૪૦ થી વધુ પ્રવેશ પરિક્ષા અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી છે તેમજ  દેશમાં આગામી સમયની માંગ અનુસાર નોકરીની વિવિધ તકો ઉપર વિશેષ વિગતો આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ખાસ કરીને વિકલાંગો માટે વિવિધ અભ્યાસક્રમોની વિશેષ વિગતો આપવામાં આવી છે. નવા નવા અભ્યાસક્રમો કે જે રાજ્યમાં ઉપલબ્ધ નથી તેની પણ માહિતી-પ્રવેશ પરિક્ષા અને બને ત્યાં સુધી જુદી જુદી સંસ્થાઓ કે જેઓ વિશિષ્ટ અભ્યાસક્રમો ભણાવે છે તેમની વેબસાઈટો પણ આપવામાં આવી છે. દેશમાં રેગ્યુલર અભ્યાસક્રમ ન કરી શકે તેવા વિદ્યાર્થીઓ માટે એક્સ્ટર્નલ અભ્યાસક્રમ આપતી માન્ય સંસ્થાઓની સાથોસાથ ઈન્દીરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (ઈગ્નુ) અને ડૉ. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ની વિગત પણ આપવામાં આવી છે. શિક્ષણ માટે એજ્યુકેશન લોન અને સ્કોલરશીપ આપતી વિવિધ સરકારી વિભાગો અને ખાનગી ટ્રસ્ટોની વિગતો આ પુસ્તકની વિશેષતા છે.  
“કારકિર્દીના ઊંબરે” ધો-૧૨ પછી શું ? માર્ગદર્શન પુસ્તક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની વેબસાઈટ www.gujaratcongress.org અને www.Careerpath.info  ઉપર પણ ઉબલબ્ધ થશે. તેમ ડૉ. મનિષ એમ. દોશી મુખ્ય પ્રવક્તાની યાદીમાં જણાવ્યું છે

(6:27 pm IST)