Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂપિયા ૨.૪ કરોડના ખર્ચે નવનિર્મિત વિરમગામ તાલુકા પંચાયત ભવનનું લોકાર્પણ : લોકોને સ્પર્શતી સમસ્યાઓનો ઉકેલ ઝડપથી લાવવા તાકીદ કરતા મુખ્યમંત્રી

'મેં નહિ હમ' - કર્મ ધ્યેય સાથે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને અમદાવાદ જિલ્લાના વિરમગામ ખાતે જિલ્લા વહીવટી તંત્રની સમીક્ષા બેઠક યોજાઇ : ઘરઆંગણે ઉકેલી શકાય તેવા પ્રશ્નો માટે લોકોને જિલ્લા કે રાજ્ય કક્ષાએ ના જવું પડે તે માટે રાજ્ય સરકારે સંવેદના પૂર્ણ અભિગમ અપનાવ્યો છે: મુખ્યમંત્રી

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું છે કે, ઘરઆંગણે ઉકેલી શકાય તેવા પ્રશ્નો માટે લોકોને જિલ્લા કે રાજ્ય કક્ષાએ ના જવું પડે તે માટે રાજ્ય સરકારે સંવેદના પૂર્ણ અભિગમ અપનાવ્યો છે. ઘર આંગણે કે તાલુકા જિલ્લા કક્ષાએ ઉકેલી શકાય તેવા પ્રશ્નો સ્થાનિક કક્ષાએ ઉકેલવામાં આવે તો પ્રશ્નો ઊભા જ ન થાય એમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને 'મેં નહીં હમ' ના કર્મ ધ્યેય સાથે અમદાવાદ જિલ્લાના વિરમગામ ખાતે જિલ્લા વહીવટી તંત્રની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

   મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા વિરમગામ તાલુકામાં રૂપિયા ૨.૪ કરોડના ખર્ચે  નવનિર્મિત તાલુકા પંચાયત ભવનનું લોકાર્પણ કર્યું હતું. આ અવસરે નાણા મંત્રી કનુભાઇ દેસાઇ, શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશભાઇ મેરજા પણ જોડાયા હતા. આ ઉપરાંત તાલુકા પંચાયત પ્રમુખ રેખાબેન દશરથભાઇ કોળી પટેલ, ધારાસભ્ય લાખાભાઇ ભરવાડ, પુર્વ ધારાસભ્ય ડો.તેજશ્રીબેન પટેલ, પ્રાગજીભાઇ પટેલ, નવદીપભાઇ ડોડીયા, ચેતનભાઇ રાઠોડ, દિપાબેન ઠક્કર, કિરીટસિંહ ગોહિલ, નરેશભાઇ શાહ, મયુરભાઇ ચાવડા, ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, સરકારી અધિકારી કર્મચારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
    વિરમગામ ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીએ ઘર આંગણે ઉકેલી શકાય તેવા પ્રશ્નો અને સ્તવરે ઉકેલવા વહીવટી તંત્રના અધિકારીઓને તાકીદ કરી હતી. આ બેઠક નાણા મંત્રી કનુભાઇ દેસાઇ, શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ ભાઇ મેરજા, પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા ભાજપના પ્રમુખ હર્ષદગીરી ગોસ્વામી સહિત જન પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી સમક્ષ રોડ, પાણી, રસ્તા, ગટર, ઓવરબ્રિજ, સિંચાઈ, વીજળી, શિક્ષણ, વરસાદી પાણીનો નિકાલ, રસ્તા પહોળા કરવા જેવા અનેકવિધ પ્રશ્નો રજૂ કરાયા હતા. મુખ્યમંત્રીએ તમામ પદાધિકારીઓના સવાલો ઝીણવટપૂર્વક સાંભળીને વહીવટીતંત્ર સાથે ઉકેલ અંગેની છણાવટ કરી હતી અને જણાવ્યું હતું કે આ પ્રશ્નો અન્ય રીતે ઉકેલવા માટે વહીવટીતંત્ર કાર્યશીલ હોય છે પરંતુ ક્યાંક નિયમોના અર્થઘટન અથવા અન્ય કોઈ રીતે અટવાયેલા પ્રશ્નો સત્વરે પૂરા થાય તેવી તાકીદ પણ કરી હતી. તંત્ર અને પ્રતિનિધિઓ એકબીજા સાથે સંકલન સાધીને કાર્યપ્રણાલી આગળ વધારે તો પ્રશ્નો ઉપસ્થિત જ ન થાય ત્યારે આ કાર્યક્રમને પરિણામ લક્ષી બનાવવા મુખ્યમંત્રીએ સૂચન કર્યું હતું.
આ સમીક્ષા બેઠકમાં અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાંગલેએ કહ્યું હતું કે, રાજ્યના છેવાડાના માનવી સુધી વિવિધ યોજનાઓ ફળ પહોચાડવામાં રાજ્ય સરકાર કટિબદ્ધ છે. મુખ્યમંત્રીએ લોક પ્રશ્નોના ઉકેલ માટે સંવેદના પૂર્ણ અભિગમ પણ અપનાવ્યો છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
    આ સમીક્ષા બેઠકમાં સર્વે ધારાસભ્યો, જીલ્લા વિકાસ અધિકારી અનિલભાઈ ધામેલીયા, ઔડાના સીઇઓ ડી.પી. દેસાઈ, પોલીસ અધિક્ષક તેમજ તાલુકા પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા.

 

(6:37 pm IST)