Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

વડોદરા- પાદરા રોડ પર કૂતરાને બચાવવા જતાં કાર પલ્ટી ખાઈ ગઈ :બે યુવાનના ગંભીર ઇજા બાદ મોત

નાગરવાડા આમલી ફળિયામાં રહેતા 3 મિત્રોને બિલ ગામ પાસે કારને અકસ્માત નડ્યો

નાગરવાડા આમલી ફળિયામાં રહેતા 3 મિત્રોને બિલ ગામ પાસે કારને અકસ્માત નડ્યો હતો. રસ્તામાં જતા કૂતરાને બચાવવા જતાં કાર પલટી ખાઈ ગઈ હતી. જેમાં કારમાં સવાર બે યુવાનને ગંભીર ઇજાઓ થવાથી મોત થયા હતા. આ બનાવને પગલે નાગરવાડા વિસ્તારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી અને પરિવારજનો અને મિત્રો સયાજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

વડોદરા શહેરના નાગરવાડા આમલી ફળિયામાં રહેતો યશ અશોકભાઈ પટેલ (ઉં.22) ડેકોરેશન અને ઇવેન્ટ મેનેજમેન્ટનો વ્યવસાય કરતો હતો. તેમને પાદરા ખાતે ડેકોરેશન અને ઇવેન્ટ મેનેજમેન્ટનો કોન્ટ્રાક્ટ મળતા તેઓ આજે વહેલી સવારે તૈયારીઓ માટે કારમાં તેમના મિત્ર મિહિર વિનોદ ચાવડા (ઉં.20) તથા સુનિલ દિનેશભાઇ વસાવા (ઉં.33) ત્રણેય મિત્રો કારમાં વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ પાદરા જઈ રહ્યા હતા.

આ દરમિયાન બિલ ગામ પાસે રખડતું કૂતરું અચાનક રોડ ઉપર દોડતું આવ્યું હતું અને તેને બચાવવા જતા કાર પલટી ખાઈ ગઈ હતી. આ બનાવમાં ત્રણેય યુવાનોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. જેમાં યશ અશોકભાઈ પટેલ તથા મિહિર વિનોદભાઇ ચાવડાને ગંભીર ઇજાઓ થવાથી આ બંને મિત્રોના સયાજી હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત થયા હતા. જ્યારે સુનિલ વસાવાને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે.

આ બનાવની જાણ મિત્ર વર્તુળ તથા સગા સંબંધીઓને થતા તેઓ સયાજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને અકસ્માતની જાણ માંજલપુર પોલીસને કરવામાં આવી હતી. પોલીસે આ બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખાતે ખસેડવામાં આવ્યા છે.

(8:51 pm IST)