Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનું ઇ-લોકાર્પણ રૂપાણી દ્વારા કરાશે

જસદણ અને જેતપુરમાં યોજાનારા કાર્યક્રમઃ લાભાર્થીઓના ગ્રુપને સહાય વિતરણના ચેક અપાશે

રાજકોટ, તા.૧૬: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના તા.૧૭ સપ્ટેમ્બરના જન્મ દિને રાજય સરકાર દ્વારા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનું ઇ.લોકાર્પણ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા ગાંધીનગર ખાતેથી થનાર છે. જે અન્વયે જસદણ એપીએમસી ખાતે અને જેતપુરમાં લેઉવા પટેલ સમાજ વાડી ખાતે કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમોના સુચારૂ આયોજન માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત ખાતે સબંધિત અધિકારીઓની બેઠક યોજાઇ હતી.

આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અન્વયેના લાભાર્થીઓના ગ્રુપને સહાય વિતરણના ચેક અપાશે.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા કાર્યક્રમના સ્થળે સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન થાય તે માટે મર્યાદિત સંખ્યામાં બેઠક વ્યવસ્થા, સેનેટાઇઝર-માસ્ક, પીવાના પાણી, નિમંત્રણ પત્રિકા સહિતની વ્યવસ્થા કરવા સબંધિત અધિકારીઓને સુચના આપી હતી.

મુખ્યમંત્રીશ્રી દ્વારા ગાંધીનગર ખાતેથી લાઇવ સંબોધન કરવામાં આવનાર હોઇ તેના કનેકટીવીટીનો સુચારૂ પ્રારંભ કરવા તથા ૩ સ્ક્રીન યોગ્ય જગ્યાએ મૂકવાની સુચના પણ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા અપાઇ હતી.

આ બેઠકનું સંચાલન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે.પટેલે કર્યું હતું. આ બેઠકમાં નગરપાલિકા નિયામકના ડેપ્યુટી કલેકટરશ્રી જિજ્ઞાસા ગઢવી, મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી જનકસિંહ ગોહિલ, પ્રોગ્રામ ઓફિસરશ્રી વત્સલાબેન દવે, ખેતીવાડી અધિકારીશ્રી આગઠ વગેરે ઉપસ્થિત રહયા હતા.

(11:23 am IST)