Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

આણંદ નજીક સદાનાપુરાની સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરી તરછોડી દેનાર નરાધમને અદાલતે દસ વર્ષની સજાની સુનવણી કરી

આણંદ:પાસેના સદાનાપુરાની સગીરાને આજથી લગભગ સાડા ચાર વર્ષ પૂર્વે સદાનાપુરાનો જ શખ્શ લગ્ન કરવાની લાલચ આપી વિદ્યાનગર ખાતેથી ભગાડી લઈ ગયા બાદ સગીરા સાથે શારીરિક અત્યાચાર ગુજાર્યાના બનાવમાં આણંદની કોર્ટે સગીરાને ભગાડી લઈ જનાર સદાનાપુરાના શખ્શને તકસીરવાન ઠેરવી દસ વર્ષની સખત કેદની સજા અને રૂા.૩૫ હજારનો દંડ ફટકારતો ચુકાદો સંભળાવ્યો છે.

વધુમાં મળતી માહિતી મુજબ આણંદ પાસેના સદાનાપુરાના લીમડાવાળા ફળીયામાં રહેતો ભાવેશકુમાર જીતેન્દ્રભાઈ તળપદા ગત તા.૧૮-૧-૨૦૧૭ના રોજ સાંજના સુમારે સદાનાપુરાની અને વિદ્યાનગર હરિઓમનગર ખાતે આવેલ સગીરાને લલચાવી-પટાવી લગ્ન કરવાની લાલચ આપી વિદ્યાનગર ખાતેથી ભગાડી લઈ ગયો હતો. જે અંગે સગીરાની માતાએ વિદ્યાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ભાવેશકુમાર જીતેન્દ્રભાઈ તળપદા વિરૂધ્ધ ગુનો નોંધી તા.૧૯-૦૨-૨૦૧૭ના રોજ તેને ઝડપી પાડયો હતો. આ અંગે વિદ્યાનગર પોલીસે તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ ફાઈલ કરી હતી.

આ કેસ આણંદના સ્પેશ્યલ પોક્સો જજ અને બીજા એડીશ્નલ સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશે ભાવેશકુમાર તળપદાને તકસીરવાન ઠેરવી દસ વર્ષની સખત કેદની સજા અને અલગ-અલગ કલમોમાં કુલ્લે રૂા.૩૫ હજારનો દંડનો હુકમ કર્યો હતો. સાથે સાથે ભોગ બનનારને વળતર પેટે રૂા.૪ લાખ ચુકવવાનો પણ હુકમ કરાયો છે.

(5:38 pm IST)