Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

સુરતમાં ટ્રકની સાથે કાર ટકરાતાં ત્રણ જણાનાં મોત

સુરતના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની બાજુમાં અકસ્માત : અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો ડૂચો વળી ગયો, મૃતદેહોને કારનું પતરું કાપીને બહાર કાઢવામાં આવ્યા

સુરત , તા.૧૬ :  શહેરમાં મોડી રાત્રે ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની બાજુમાં જ એક કાર અકસ્માતની ઘટના બની હતી. જેમાં ગાડીમાં સવાર ૫ લોકોમાંથી ૩ લોકોના ઘટનાસ્થળે કમકમાટી ભર્યાં મોત નીપજ્યા હતા. સુરતમાં ઈચ્છાપુર-હજીરા રોડ પર અકસ્માતની ઘટનામાં સુરતના ૩ લોકોના મોત નીપજ્યા હતા. કવાસ પાટિયા નજીક અજાણી ટ્રકની પાછળ એક કાર અથડાતા તેમાં સવાર ૩ વ્યક્તિના કમકમાટીભર્યાં મોત નીપજ્યા છે, જ્યારે ગંભીરરીતે ઈજાગ્રસ્ત ૨ વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે સમગ્ર કાર પડીકું વળી ગઈ હતી. ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને કટરથી પતરું કાપીને મૃતદેહને બહાર કાઢવા પડ્યા હતા.

         સુરતમાં ઈચ્છાપુર-હજીરા રોડ પર જીવલેણ અકસ્માતની ઘટનામાં સુરતના બે ભાઈ સહિત કુલ ત્રણને કાળ ભરખી ગયો. મળતી માહિતી મુજબ, મૂળ ઓડિશા અને છેલ્લા ૧૫ વર્ષથી સુરતમાં સ્થાયી દિનેશની કારનો કવાસ પાટિયા નજીક અકસ્માત થયો હતો, જેમાં ૩ના મોત નીપજ્યા છે. અને બે વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. અકસ્માતની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ફાયર વિભાગની ટીમને કારનું પતરું કટરથી કાપીને મૃતદેહોને બહાર કાઢવા પડ્યા હતા. વધુ મળતી માહિતી મુજબ, મૃતક દિનેશની સુરતમાં ફોટો સ્ટુડિયોની દુકાન છે. તે પોતાની કાર લઈને પત્ની તથા ભાઈ સાથે મિત્રને મૂકવા માટે કવાસ જઈ રહ્યો હતો. આ દરમિયાન જ રસ્તામાં ટ્રક સાથે તેની કારનો અકસ્માત થયો હતો. અકસ્માતને પગલે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આકસ્મિક મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

ચોટીલા નજીકના ઢેઢુકી ગામ પાસે શ્વાનનો જીવ બચાવવા જતાં અકસ્માતે કાર આશરે ૧૦ ફૂટ ઊંડા નાળામાં ખાબકતા ૨ વ્યક્તિના ઘટનાસ્થળે મૃત્યુ થયા હતા અને બે વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. શ્વાનને બચાવવા જતાં કાર ઊંડા નાળામાં ખાબકતા રાજકોટમાં રહેતા અને સુરેન્દ્રનગરમાં ટાઉન પ્લાનિંગ વિભાગમાં ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ જયેશભાઈ દવે અને તેમના જ વિભાગના ડ્રાઈવર પરાગ પંડયાનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય ૨ વ્યક્તિને ઈજા થતાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

(9:08 pm IST)