Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

કાલે અમદાવાદ જિલ્લામાં રસીકરણની મેગા ડ્રાઈવ

૧.૩૨ લાખ જેટલાં લોકોને કોરોનાની રસી અપાશે : નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અમદાવાદ જિલ્લામાં કોરોના વેક્સિનેશન ઝુંબેશ અંતર્ગત મહાઅભિયાન

અમદાવાદ, તા.૧૬ : રાજ્યમાં કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા માટે રસીકરણ ઝુંબેશ ચાલી રહી છે. હવે અમદાવાદ કોર્પોરેશને બીઆરટીએસ સ્ટેશન અને એમટીએસ સ્ટેશન પર પણ રસી આપવાનો નિર્ણય કર્યો છે. ૧૭ સપ્ટેમ્બર શુક્રવારે સવારે ૯થી રાત્રે ૧૦ વાગ્યા સુધી અમદાવાદ કોર્પોરેશને નક્કી કરેલા ૧૫ BRTS સ્થળો પર અને ૧૨ AMTC સ્થળો પર વેક્સિન આપવામાં આવશે. અહીં વેક્સિન લેવા માટે સ્થળ પર રજીસ્ટ્રેશનની સુવિધા પણ કરવામાં આવી છે.

AMTS સ્થળો પર મળશે વેક્સિન : ૧. પાલડી ટર્મિનસ, ૨. વાસણા ટર્મિનસ. ૩. અખબારનગર ટર્મિનસ. ૪. વાડજ ટર્મિનસ, ૫. હાટકેશ્વર ટર્મિનસ, ૬. મણીનગર ટર્મિનસ, ૭. નરોડા ટર્મિનસ, ૮. સારંગપુર ટર્મિનસ, ૯. ચાંદખેડા ટર્મિનસ, ૧૦. ઘઉમા બસ સ્ટેન્ડ, ૧૧. વૈષ્ણોદેવી સર્કલ, ૧૨. ગુજરાત યુનિવર્સિટી બસ સ્ટેન્ડ.

BRTS સ્થળ પર મળશે વેક્સિન : ૧. ચાંદખેડા ગામ, ૨. શાસ્ત્રીનગર, ૩. મેમનગર, ૪. સોલા ક્રોસ રોડ, ૫. ઈસ્કોન ક્રોસ રોડ, ૬. શિવરંજની, ૭. અંજલી, ૮. એમ જે લાઇબ્રેરી, ૯. ગીતા મંદિર, ૧૦. જુના વાડજ, ૧૧. મણીનગર રેલવે સ્ટેશન, ૧૨. નારોલ, ૧૩. એક્સપ્રેસ હાઈવે જંકનશ, ૧૪. સોનીની ચાલ, ૧૫. નરોડા એસટી વર્કશોપ.

શુક્રવારના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે અમદાવાદ જિલ્લામાં કોરોના વેક્સિનેશન ઝુંબેશ અંતર્ગત મહાઅભિયાન યોજાશે. જિલ્લામાં એક જ દિવસમાં ૧.૩૨ લાખ જેટલાં લોકોને કોરોનાની રસી આપી સુરક્ષા પ્રદાન કરવામાં આવશે તેમ અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલેએ જણાવ્યું છે. તેમણે કહ્યું કે, અમદાવાદ  જિલ્લામાં ખુબ ઝડપથી કોરોના રસીકરણ થઇ રહ્યું છે, લોકોની જાગૃતિ અને આરોગ્ય કર્મીઓની સઘન મહેનતથી જિલ્લામાં ૧૧ લાખથી વધુ લોકોને કોરોના પ્રતિરોધક રસીનો પ્રથમ ડોઝ અને ૩.૯૩ લાખ લોકોને બીજો ડોઝ  આપવામાં આવ્યો છે.

        તેમણે જણાવ્યું કે, કોરોના વેક્શીનેશન મહાઅભિયાન અંતર્ગત સવારે-૭.૦૦ વાગ્યાથી બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, જાહેર સ્થળો, ગણેશ પંડોળ, ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર સહિતના સ્થળોએ ૬૦૦ જેટલાં આરોગ્ય કર્મીઓ રસીકરણની કામગીરીમાં જોડાશે. અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલિયાના નેતૃત્વ હેઠળ જિલ્લાના ૯૫ ટકા લોકોને રસીનો પ્રથમ ડોઝ જ્યારે ૭૮ ટકા લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ સફળતાપૂર્વક આપવામાં આવ્યો છે.જિલ્લાના ૪૬૬ ગામો પૈકી ૨૪૫ ગામોમાં ૧૦૦% રસીકરણ કામગીરી પૂર્ણ  થઈ ચૂકી  છે. જિલ્લા કલેકટરે જણાવ્યું કે, અમદાવાદ  જિલ્લામાં એક દિવસમાં રેકોર્ડ બ્રેક કોરોના રસીકરણ અભિયાનને મહા અભિયાનમાં પરિવર્તિત કરવા માટે મહેસૂલ, પંચાયત, આરોગ્ય, આંગણવાડી સહિત વિવિધ કચેરીઓના અધિકારીઓને લાયઝન અધિકારી તરીકે નિમણુંક કરવામાં આવી છે. આશા વર્કર તથા આંગણવાડી કાર્યકર દ્વારા ધનિષ્ઠ સર્વે કરી લાભાર્થીઓને રસીકરણ સ્થળે લાવવા માટેનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.આ મહા મેગા કેમ્પમાં કરવામાં આવેલ રસીકરણના દર બે- બે કલાકે આંકડાઓ લઇ ઇલેક્શન પધ્ધતિ પ્રમાણે વેક્શીનેશન ડ્રાઇવ કરવામાં આવશે. તેમણે લોકોને અપીલ કરતાં જણાવ્યું કે, કોરોના વાયરસની સંપૂર્ણ નાબૂદી માટે રસીકરણ જ એકમાત્ર આખરી ઇલાજ છે ત્યારે આપણા ઘરના પુખ્ત વયના તમામ સભ્યોને કોરોના પ્રતિરોધક રસી મુકાવી સુરક્ષા પ્રદાન કરીએ.

(9:13 pm IST)