Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

કોરોનાના કારણે મૃત્યુ પામનારના પરિવારને સહાય માટે પહેલા જ દિવસે ધરમ ધક્કા

જેના માટે ફોર્મ ૧૫ નવેમ્બરથી ભરાવાના હતા જોકે પહેલો દિવસ તો લોકોને કચેરી કચેરી ધક્કા ખાવામાં જ વીત્યો : સરકાર રૂ.૫૦૦૦૦ની સહાય કોરોનામાં મૃત્યુ પામાનારના પરિવારને આપવાની છેઃ અધિકારીઓ પોતે પણ સ્પષ્ટ નથી કે સહાય કઈ રીતે ચૂકવવાની છે અને હાલ ફકત લોકો પાસેથી ફોર્મ લઈ રહ્યા છે

અમદાવાદ, તા.૧૬: રાજયમાં કોવિડ -૧૯ અંતર્ગત મૃત્યુ પામનારના પરિવારને આર્થિક સહાય આપવા માટે રાજય સરકારના નિર્ણય પછી જિલ્લા કલેકટર કચેરીએ સોમવારે સવારે ૯ થી સાંજના ૬ વાગ્યા સુધી ૫૦,૦૦૦ રૂપિયાના વળતર માટે અરજદારોનો સતત પ્રવાહ જોવા મળ્યો હતો. રાજય સરકારના નિર્દેશો અનુસાર ૧૫ નવેમ્બરે વળતર મેળવવા માટે અરજી કરવાનો પ્રથમ દિવસ હતો. પરંતુ પહેલા દિવસે અરજદારોને ધરમ ધક્કો પડ્યો હતો.

ત્યારે પોતાનો અનુભવ જણાવતા પીરાણાના રહેવાસી જયેન્દ્ર પરમારે જણાવ્યું હતું કે જયારે હું મારા પુત્ર સાથે ૨૦ કિમી ડ્રાઇવ કરીને સ્થળ પર પહોંચ્યો, ત્યારે મને કર્મચારીઓ દ્વારા જાણ કરવામાં આવી કે કલેકટર કચેરીમાં કોઈ ફોર્મ વિતરણ અથવા સબમિશન થતું નથી. તેના બદલે, અમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઝોનલ હેલ્થ ડિપાર્ટમેન્ટ ઓફિસ જાવ. આ રીતે અમને અહીંથી ત્યાં ધક્કો જ ખવડાવવામા આવ્યો હતો. ગત મે મહિનામાં મહામારીના કારણે પોતાના પિતા ગુમાવનાર પરમારે વધુમાં કહ્યું કે 'ત્યાં પહોંચ્યા પછી વર્તમાન પ્રક્રિયા માત્ર મૃત્યુના કારણ (MCCD) માટે તબીબી પ્રમાણપત્ર મેળવવાની છે, તેમ અમને કહેવામાં આવ્યું છે. વળતર માટેની પ્રક્રિયા અમે કાલે કરીશું.' આમ વળતર માટે અમારે ધરમ ધક્કો ખાવો પડ્યો.

સગા-સંબંધીઓના શિક્ષણ, પરિવારને મદદ કરવા અથવા નવું વાહન મેળવવાની આશામાં કોરોના મૃતકોના પરિવારના સેંકડો લોકો ઉમટી પડ્યા હતા, પરંતુ કલેકટર કચેરીના અધિકારીઓએ જણાવ્યું હતું કે રૂ. ૫૦,૦૦૦ મેળવવા માટે દ્યણી લાંબી મજલ આ લોકોએ કાપવી પડશે.

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, 'આ વિષય પર એકમાત્ર સત્ત્।ાવાર સૂચના રાજયના આરોગ્ય વિભાગ તરફથી ૨૯ ઓકટોબરના રોજ આપવામાં આવી છે. જેમાં MCCD મેળવવા માટેના નિયમો મૂકવામાં આવ્યા છે. સૂચનામાં સ્પષ્ટપણે સંબંધિત વહીવટી એકમ - મ્યુનિસિપલ કોર્પોરેશન, મ્યુનિસિપાલિટી અથવા ગ્રામ પંચાયતમાં જન્મ અને મૃત્યુના સર્ટિફિકેટ ઇશ્યુ કરનાર રજિસ્ટ્રારને જ આ માટે સત્તા આપવામાં આવી છે. વધુમાં તેમણે કહ્યું કે સૂચનામાં વિવિધ સ્તરો પર કોવિડ ડેથ એસેર્ટેનિંગ કમિટી (સીડીએસી) ની રચનાનો પણ ઉલ્લેખ છે. જોકે તેમાં વળતર વિશે કશું કહેવામાં આવ્યું નથી.

કોરોના મહામારીમાં એપ્રિલ મહિનામાં લાંબા સમય સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યા બાદ પોતાના પતિને ગુમાવનાર વેજલપુરની રહેવાસી ઉષા મંગરે જણાવ્યું હતું કે,ઙ્કસરકારના વહીવટી આદેશ અંગે આપણે આટલું બધું ઝીણવટભર્યું કેવી રીતે જાણતા હોઈએ? અમે તો મીડિયા અહેવાલો જોયા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફરતું ફોર્મ પણ ડાઉનલોડ કર્યું અને તેને સિવિલ હોસ્પિટલ તરફથી આપવામાં આવેલા મૃત્યુ પ્રમાણપત્રની નકલ સાથે સબમિટ કરવા માટે ભર્યું. સિવિલ હોસ્પિટલના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે મૃત્યુના કારણની સમીક્ષા કરવા માટે હજુ સુધી કોઈ અરજીઓ નથી. અધિકારીઓએ ઉમેર્યું હતું કે સમિતિના નિર્ણયની સમીક્ષા કરવા માટે કોઈ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) પણ નથી.

(10:05 am IST)