Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

અમદાવાદના લાલ દરવાજા, જમાલપુર શાકમાર્કેટ અને માણેકચોકમાં લારીઓ દૂર કરાશે તો હજારો લોકોની રોજી રોટી છીનવાશે

લારી-ગલ્લા-પાથરણા વાળાને હટાવવામાં આવશે તો તેમના પરિવારના ગુજરાનનો પશ્ન ઉભો થઈ શકે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈંડા અને નોનવેજની લારીઓ દુર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. આ નિર્ણયને લઈ ઘણા લોકોની રોજી ઉપર અસર પડશે અને કેટલાક લોકોના ઘરના ચુલાઓ આ લારીઓ પર ચાલતા હોય છે. શહેરમાં હજારો લોકોની રોજી રોટી છીનવાશે. આપણે શહેરના ભદ્ર પથરણા વાળાની વાત કરીએ તો ત્યા હજારોની સંખ્યામાં લોકો ધંધો કરે છે અને સાંજે જે પૈસા આવે તેનાથી તેમના ઘરનો ચુલો પણ સળગે છે. જો તે લોકોને હટાવવામાં આવશે તો તેમના પરિવારના ગુજરાનનો પશ્ન ઉભો થઈ શકે છે

અમદાવાદ શહેરમાં હાલ 35 ટકા લોકો લારી અને ગલ્લાઓ લગાવી પોતાના ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે. લોકો લારી અને ગલ્લો લગાવે તે પહેલા તેઓ પોલીસ અને કેટલાક અધિકારીઓને પૈસા આપતા હોય છે આ લોકો રાજી હોય તો જ તેમને ધંધો કરવા દેવામાં આવતો હોય છે. શહેરના ભદ્ર કાળી મંદિર પાસે કેટલાક પથારણા વાળા પોલીસને ધંધો કરવા માટે હપ્તો આપતા હોય છે, પૈસા ન આપી શકે તો તે ધંધો કરી શકે તેમ નથી.

શહેરના માણેકચોક, ભદ્રકાળી મંદિર, જમાલપુર દરવાજા, જમાલપુર શાક માર્કેટ પાસે ખાણી પીણીની લારીઓ લગાડી ધંધો કરે છે અને કેટલાક લોકો તો ફુટપાથ પર પોતાનો નાનો એવો ધંધો કરતા હોય છે. જો ખાસ કરીને આપણે વાત કરીએ તો ત્રણ દરવાજા પાસે ઘણા પથારણા વાળા ધંધો કરતા હોય છે અને તેઓની પાસે જ કોર્પોરેશનની દબાણની ગાડીઓ ઉભી હોય છે પરતું તે ગાડીઓ ફકત શોભાના ગાંઠિયા જેવી છે. જો કે, બાજુમાં જ કાંરજ પોલીસ સ્ટેશન આવેલું છે પણ પોલીસ જવાનોને કોઈ પણ પ્રકારનો ફરક પડતો નથી.

 

AMCએ મોટા ઉપાડે લારી ગલ્લા હટાવવાની વાતો કરે છે પણ પોતાની કચેરીને અડીને આવેલા ચોકમાં ખાણી પીણીની લારીઓ ઉભી છે. કોઈ સાવચેતી કે કોઈ ટ્રાફિક નિયમન નહી માત્ર કોર્પોરેશનની વાતો શોભના ગાંઠિયા જેવી જ છે. કોર્પોરેશનથી જગન્નાથ મંદિર જવાના રોડ પર પણ આજ સ્થિતિ છે. અહીંયા પણ રસ્તા પર લારી ગલ્લાનાં કારણે ભીડ અને ટ્રાફિક જામ છે. ત્યાંથી આગળ જગન્નાથ મદિરથી જમાલપુર બ્રિજ સુધી રસ્તામાં દરરોજની જેમ લારીઓ ઉભી છે. જ્યાં લોકો પોતાની વસ્તુઓ વેચીને રોજગારી મેળવી રહ્યાં છે .જમાલપુર બ્રિજ નીચે પણ અનેક લારીઓ અને પાથરણાંવાળા બેઠાં છે.

ગુજરાતભરમાં નોનવેજ અને અન્ય ખાદ્ય ચીજોના લાખોની સંખ્યામાં તવા છે. જોકે, હવે ગુજરાતમાં સરકાર એક વખત ફરીથી ગરીબોના પેટ ઉપર લાત મારવાનો પ્લાન બનાવી રહી છે. ગરીબોના પેટ ઉપર લાત મારીને મોટી હોટલો અને પોતાની ઈન્કમ ઉભી કરવા માટે નોનવેજની આડ લેવામાં આવી શકે છે.

જણાવી દઈએ કે, કોઈ મોટી હોટલમાં જમવા જાઓ તો 18 ટકા ટેક્સ આપવો પડતો હોય છે. તેવામાં મધ્યમ વર્ગથી માંડીને ગરીબ માણસ હોટલમાં ના જઈને તવા ઉપર કે ઢાબામાં જઈને જમાવાનું વધારે પસંદ કરે છે.

તેવામાં તવાઓના કારણે મસમોટી હોટલોના ધંધા ઉપર ઘણી અસર થતી હોય છે. તેવામાં જો તેમના ધંધામાં તેજી આવે તો સરકારને પણ ફાયદો થઈ શકે તેમ છે. પરંતુ આ તેજી કેવી રીતે આવે તે એક મોટો યક્ષ પ્રશ્ન છે. તો તેનો જવાબ છે કે, નાના-મોટા લાગી ગલ્લાઓ અને તવાઓ ઉપર બ્રેક લગાવી દેવામાં આવે. તો વસ્તી ધીમે-ધીમે હોટલો તરફ પ્રયાણ કરી શકે છે. તેથી અન્ય બહાનાઓ દર્શાવીને નોનવેજની લારીઓને બંધ કરાવવાનો કારસો રચાઈ ગયો છે

(8:51 pm IST)