Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

બેલેટ પેપર્સ સાથે છેડછાડ થઈ શકે પણ EVMમાં શક્ય નથી : ચૂંટણી પંચ તરફે સોગંદનામું રજૂ કરાયું

VVPATની અમલવારી ફિઝિબલ અને શક્ય ન હોવાની પણ રજુઆત

અમદાવાદ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં VVPAT મશીનનો ઉપયોગ કરવામાં આવતો નથી અને માટે ઉપલબ્ધ ન હોવાના રાજ્યના ચૂંટણી પંચના જવાબ સામે સ્વરાજની ચૂંટણી બેલેટ પેપરથી યોજવા મુદ્દે દાખલ કરાયેલી જાહેરહિતની અરજી પર રાજ્યના ચૂંટણી પંચ તરફે સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે, જેમાં EVM (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન) વિશ્વનીય હોવાની રજુઆત કરવામાં આવી છે.

ગુજરાત ચૂંટણી પંચ દ્વારા રજૂ કરાયેલા સોગંદનામાંમાં જણાવવામાં આવ્યું છે કે VVPATની અમલવારી ફિઝિબલ અને શક્ય ન હોવાની રજુઆત કરવામાં આવી છે. બેલેટ પેપર્સ સાથે છેડછાડ થઈ શકે પરંતુ EVM સાથે છેડછાડ થઈ શકે નહિ. અરજદારની રજુઆતોને જો માનવામાં આવે તો ચૂંટણી પ્રક્રિયા પ્રભાવિત થઈ શકે છે, તેવી રજુઆત ચૂંટણી પંચ દ્વારા સોગંદનામામાં કરવામાં આવી છે. અત્યારે ચૂંટણીની પ્રક્રિયા જાહેર કરી દેવામાં આવી છે અને જો અરજદારની વાત માનવામાં આવે તો ચૂંટણી પ્રભાવિત થઇ શકે છે,તેવી પણ રજુઆત કરવામાં આવી છે

 

અરજદાર ઈમ્તિયાઝ ખાન પઠાણે તેમના એડવોકેટ કે.આર. કોષ્ટિ મારફતે ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે અરજદાર તરફે કરવામાં આવેલી RTIના જવાબમાં રાજ્યના ચૂંટણી પંચે જણાવ્યું છે કે રાજ્યના એકમોની ચૂંટણીમાં VVPATનો ઉપયોગ કરવામાં આવતો નથી, જેથી રાજ્યના ચૂંટણી પંચમાં VVPAT ઉપલબ્ધ નથી. ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં રજુઆત કરવામાં આવી છે કે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બેલેટ પેપરથી યોજવા મુદ્દે રાજ્યનો ચૂંટણી પંચ જાહેરાત કરે.

અરજદાર તરફે આ મુદ્દે 1 જાન્યુઆરી 2021ના રોજ રાજ્યના ચૂંટણી પંચને લેખિત રજુઆત પણ કરવામાં આવી છે કે જોકે આજ દિવસ સુધી કોઈ જવાન કે પ્રતિક્રિયા આપવામાં ન આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અરજદારે આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સમક્ષ રાજ્યના ચૂંટણી પંચ પાસેથી સ્ટેટ્સ રિપોર્ટ રજૂ કરવાના નિર્દેશોની માંગ કરી છે. અરજદારે PILમાં સુબ્રહ્મણીયમ સ્વામી વિરુદ્ધ કેન્દ્રીય ચૂંટણી પંચના કેસના જજમેન્ટને પણ ટાંકયો હતો.

19મી સપ્ટેમ્બર 2017ના રોજ કેન્દ્રીય ચૂંટણી પંચે ભવિષ્યમાં દેશના લોકસભાની અને વિધાનસભાની ચૂંટણીઓમાં તમામ પોલિંગ બુથ પર EVMની સાથે VVPAT મશીનનો ઉપયોગ કરવાનો નિર્દેશ બહાર પાડ્યો હતો. અરજદારે વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્રીય ચૂંટણી પંચ અને રાજ્યના ચૂંટણી પંચની રચના બંધારણ હેઠળ કરવામાં આવી છે.

(9:15 pm IST)