Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

રાત્રી કરફ્યુ દરમિયાન એમ્બ્યુલન્સની સાયરન નહી વગાડવા આદેશ

ડર, ભય, ઉચાટની સ્થિતિને ટાળવા લેવાયો નિર્ણય: ચિતા ઉપજાવનારી, ભય ફેલાવનારી એમ્બ્યુલન્સની સાયરનથી કામચલાઉ મુક્તિ મળશે.

અમદાવાદ : રાજ્યમાં  હાલ કોરોનાની સુનામી ચાલી રહી છે ત્યારે રાત્રી કરફ્યુ દરમિયાન શાંત વાતાવરણને ચીરતી 108ની સાયરનથી અનેક લોકોમાં ડર, ભય, ચિંતા, ઉચાટ પ્રસરે છે. આ સ્થિતિ ટાળવા માટે ગુજરાત સરકારે 108 સહીત ખાનગી એમ્બ્યુલન્સને રાત્રી કરફ્યુ દરમિયાન એમ્બ્યુલન્સની સાયરન નહી વગાડવા આદેશ કર્યો છે. જો ટ્રાફિક હોય તો જ સાયરન વગાડવી અન્યથા વગાડવી નહી તેમ જણાવી દેવાયું છે.

અત્યાર ગુજરાતના 20 શહેરોમાં રાત્રે આઠ વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યુ અમલમાં છે. કરફ્યુને કારણે રાત્રીએ વાતાવરણ એકદમ શાંત થઈ જાય છે. આવા સમયે એમ્બ્યુલન્સની સાયરન વાગતા, બહુ દુરના વિસ્તારોમાં તે સ્પષ્ટ સાંભળાય છે. જેના કારણે લોકોમાં કોરોનાને કારણે ઉદભવેલી સ્થિતિમાં વધુ ચિંતા, ઉચાટ, ગભરાટ, ડર, ભય પ્રસરે છે. નાગરિકોમાં કોઈ ગભરાટ કે ડર ના ફેલાય અને ઉચાટ- ચિંતા ભરેલ આ સ્થિતિ નિવારવા માટે સરકારે, 108 સહીતની ખાનગી ક્ષેત્ર દ્વારા સંચાલિત એમબ્યુલન્સવાન દ્વારા સાયરન નહી વગાડવા આદેશ કર્યો છે.

સરકારના આ પગલાને કારણે, રાત્રી કરફ્યુ દરમિયાન જળવાતા નિરવ શાંત વાતાવરણમાં હવે કોઈ ખલેલ નહી પડે તેમજ ચિતા ઉપજાવનારી, ભય ફેલાવનારી એમ્બ્યુલન્સની સાયરનથી કામચલાઉ મુક્તિ મળશે.

(10:27 am IST)