Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

વડનગરની ઐતિહાસિક વિરાસતને દુનિયાનું શ્રેષ્ઠ ટુરિઝમ ડેસ્ટીનેશન બનાવાશે : યુવક સેવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવી

દેશ અને દુનિયામાં સૌ પ્રથમ વાર કોઇ એક શહેરની વિરાસતને ઉજાગર કરવા પ્રથમવાર ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન :તા.૧૮થી ૨૦મે દરમિયાન યોજાનાર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ કરાવશે શુભારંભ : કેન્દ્રીય સાંસ્કૃતિક રાજ્ય મંત્રી મિનાક્ષી લેખીની પ્રેરક ઉપસ્થિતિ:ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જાપાન, ગ્રીસ અને શ્રીલંકાના આઠ વક્તાઓ તેમજ ભારતભરના ૨૫ વક્તાઓ માર્ગદર્શન આપશે :વિવિધ ૬ સત્રોમાં ૨૫૦૦ જેટલા વિરાસત પ્રેમીઓની ઉપસ્થિતિમાં વૈશ્વિક પરિપ્રેક્ષ્ય સાથે વડનગરની સંસ્કૃતિ અને પુરાતત્વીય વારસાને આવરી લેવાશે :મુખ્યમંત્રીના હસ્તે વડનગર ઉપર કોફિ ટેબલ બુકનું વિમોચન કરાશે

અમદાવાદ :રાજ્યના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી હર્ષભાઇ સંઘવીએ જણાવ્યું છે કે વડનગરના ઐતિહાસિક વિરાસતને દુનિયાનું શ્રેષ્ઠ ટુરિઝમ ડેસ્ટીનેશન બનાવવાના નિર્ધાર સાથે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે કેન્દ્રના આર્કિયોલોજી વિભાગ અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે તા. ૧૮થી ૨૦મે દરમિયાન ત્રિ-દિવસીય પ્રથમ વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ-૨૦૨૨નું આયોજન કરાયું છે. જેમાં વિશ્વના વિરાસત પ્રેમીઓને વડનગરમાં આવેલું ગુજરાતની શાન એવું કિર્તી તોરણ, તાનારીરીની સમાધિ, શર્મિષ્ઠા તળાવ, બૌદ્ધ વિરાસત, પ્રસિદ્ધ હાટકેશ્વર મંદિર તેમજ પુરાતત્વ વિભાગના ઉત્ખનન દરમિયાન મળી આવેલા વિવિધ ઐતિહાસિક સ્થાનોથી માહિતગાર કરાશે.  
મંત્રી સંઘવીએ ગાંધીનગરમાં યોજાનાર ત્રિ-દિવસીય પ્રથમ વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ-૨૦૨૨ની તૈયારીઓની સમીક્ષા દરમિયાન મહાત્મા મંદિર ખાતે પત્રકારોને સંબોધતા કહ્યું હતું કે દેશ અને દુનિયામાં સૌ પ્રથમવાર કોઇ એક શહેરની વિરાસતને ઉજાગર કરવા તા.૧૮થી ૨૦મે દરમિયાન યોજાનાર વડનગર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનો  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આવતીકાલે સવારે મહાત્મા મંદિર ખાતે શુભારંભ કરાવશે. જેમાં કેન્દ્રીય સાંસ્કૃતિક રાજ્ય મંત્રી મિનાક્ષી લેખી ખાસ ઉપસ્થિતિ રહેશે. વૈશ્વિક કક્ષાની આ કોન્ફરન્સમાં ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જાપાન, ગ્રીસ અને શ્રીલંકાના આઠ વક્તાઓ તેમજ  ભારતભરના ૨૫ વક્તાઓ વડનગરની ઐતિહાસિક વિરાસત અને પુરાતત્વીય વારસાઓ ઉપર માર્ગદર્શન આપશે.
મંત્રીએ વધુ માહિતી આપતા કહ્યું હતું કે વૈશ્વિક પરિષદમાં વિવિધ ૬ ચર્ચા સત્રો યોજાશે જેમાં ૨૫૦૦ જેટલા વિરાસત પ્રેમીઓની ઉપસ્થિતિમાં વૈશ્વિક પરિપ્રેક્ષ્ય સાથે વડનગરની સંસ્કૃતિ અને પુરાતત્વીય વારસાને આવરી લેવાશે.આ ત્રિ-દિવસીય કોન્ફરન્સમાં ચાર યુનિવર્સિટીઓ સાથે ઐતિહાસિક સંશોધન-મૂલ્યાંકન માટે એમ.ઓ.યુ. કરાશે. એમ.એસ.યુનિવર્સિટી બરોડાના વિદ્યાર્થીઓ દ્વારા વડનગરની ઐતિહાસિક વિરાસત રજૂ કરતું ભવ્ય પ્રદર્શન તૈયાર કરવામાં આવ્યું છે. કોન્ફરન્સના ઉદઘાટન પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે વડનગર ઉપર કોફિ ટેબલ બુકનું વિમોચન પણ કરવામાં આવશે.
મહાત્મા મંદિર ખાતે યોજાનાર આ કોન્ફરન્સની તૈયારીના ભાગરૂપે મંત્રીની રૂબરૂ મુલાકાત વેળાએ રમત-ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમારે વિવિધ તૈયારીઓથી વાકેફ કર્યા હતા. 

(7:35 pm IST)