Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

અમદાવાદ કોર્પોરેશન દ્વારા વર્ષોથી લટકતી લાલ દરવાજા ટર્મિનસના વિકાસની યોજના ફાસ્‍ટટ્રેક ઉપર મુકાઇઃ 14 માર્ચ 22 સુધી અનેક રસ્‍તા બંધ રહેશે

વિક્‍ટોરીયા ગાર્ડનથી એસબીઆઇ બેન્‍ક થઇને અપના બજાર તરફનો રસ્‍તો ચાલુ રખાશે

અમદાવાદ: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વર્ષોથી લટકાવેલી રાખેલી લાલ દરવાજા ટર્મિનસના વિકાસની યોજના ફાસ્ટ ટ્રેક ઉપર મુકવામાં આવી છે, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા લાલ દરવાજા ટર્મિનસના પ્લેટફોર્મની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. આજે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા જાહેર નોટિસ આપી લાલ દરવાજા અમદાવાદ મ્યુનિ. સ્નાનાગરથી હોમગાર્ડ ઑફિસથી આપના બજારવાળો રોડ બંધ કરવાની જાહેરાત છે. તા. 15 જુલાઈથી 14 માર્ચ 2022 સુધી રોડ બંધ રહેશે. અહીં ટ્રાફિકની સમસ્યા સર્જાશે. જોકે, વૈકલ્પિક રૂટ તરીકે વિકટોરિયા ગાર્ડનથી SBI બેન્ક થઈ આપના બજાર તરફ જતો રસ્તો ચાલુ રહેશે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા એક દાયકા પહેલાં લાલ દરવાજા ટર્મિનસના વિકાસની જાહેરાત કરવામાં આવી હતી તે વખતે રૂ. 78 કરોડના ખર્ચે ભદ્ર ફોર્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અમલમાં મુક્યો હતો. પહેલા તબક્કામાં ભદ્ર ફોર્ટનો વિકાસ કરવાનો હતો અને બીજા તબક્કામાં હેરીટેજની તર્જ ઉપર લાલ દરવાજા ટર્મિનસનો વિકાસ કરવાનો હતો પણ ભદ્ર ફોર્ટના પહેલા તબક્કામાં વિલંબ થયો હતો જેથી માત્ર ફર્સ્ટ ફેસનું કામ થયું હતું અને કેન્દ્ર સરકારે વિલંબના કારણે બીજા તબક્કા માટે ગ્રાન્ટ આપવાની ના પાડી હતી. બીજો તબક્કો શરૂ થઈ શક્યો ન હતો. લાલ દરવાજા બસ સ્ટેશનના વિકાસની યોજના લટકી પડી હતી.

લાલ દરવાજા બસ સ્ટેશનને હોમગાર્ડ ગ્રાઉન્ડમાં ખસેડવાની યોજના પણ બની હતી પણ તે પણ આગળ વધી ન હતી. હવે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા લાલ દરવાજા ટર્મિનસના વિકાસની યોજના અમલી બનાવી છે જેનું કામ શરૂ કરાયું છે જેના માટે એક રોડ બંધ કરાયો છે.

(5:47 pm IST)