Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

સિધ્ધપુરની નર્સિંગ કોલેજની છાત્રાનો હોસ્ટેલમાં આપઘાત

યુવતીના આપઘાતનું કારણ જાણવા ન મળ્યું : બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રણાવાડા ગામની પ્રીતિ રાવલ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી

પાટણ, તા.૧૭ : સિદ્ધપુરની નર્સિંગ કોલેજમાં એક છાત્રાએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે શુક્રવાર સવારે હોસ્ટેલના રૂ નંબર ૧૦૧માં એક ૨૦ વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી છે. બનાવની જાણ થતાં હોસ્ટેલ અને કોલેજનો સંચાલક સ્ટાફ દોડી આવ્યો હતો અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડીને યુવતીના આપઘાતનું કારણ જાણવા સહિતની વધુ તપાસ હાથ ધરી છે.

ઘટનાની વિગતો એવી છે કે, સિદ્ધપુર દેથળી ચાર રસ્તા પાસે આવેલી શેઠ મગનલાલ પ્રભુદાસ નર્સિંગ શૈક્ષણિક સંકૂલની હોસ્ટેલમાં બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રણાવાડા ગામની પ્રીતિ રાવલ જે કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી અને હોસ્ટેલમાં રહેતી હતી. દરમિયાન શુક્રવારે સવારે હોસ્ટેલના રૂમમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

પ્રીતિ રાવલ નામની વિદ્યાર્થીએ કોલેજના હોસ્ટેલ રૂમમાં આપઘાત કર્યો હોવાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો અને લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસ દ્વારા યુવતીના પરિવારને ઘટનાની જાણ કરવામાં આવતા પરિવાર પર દુખનું આભ તૂટી પડ્યું હતું, ત્યારબાદ પરિવાર સિદ્ધપુર આવવા રવાના થઈ ગયો હતો. ૨૦ વર્ષીય વિદ્યાર્થીની પ્રીતિ રાવલે કેમ આત્મહત્યા જેવું પગલું ભર્યું, તે મામલે હજુ ચોક્કસ માહિતી મળી નથી. પોલીસે મામલે આપઘાતથી મોતનો ગુનો નોંધીને યુવતીએ કેમ અને કયા કારણોસર આપઘાત કર્યો? તે જાણવા હોસ્ટેલ સંચાલક, સહિત અન્ય વિદ્યાર્થીની પુછપરછ કરશે તેવું જાણવા મળ્યું છે.

(7:35 pm IST)