Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

રાજ્યના વહીવટી માળખામાં મોટી બદલીના ભણકારા : 25 મુખ્ય કારકુન સંવર્ગમાંથી ઓડિટર ગ્રુપ 1માં બઢતી સાથે બદલીના હુક્મ

લાભ પાંચમ બાદ એકસાથે 60 જેટલા અધિકારીઓની બદલી કરવામાં આવે તેવી શક્યતા

અમદાવાદ : ગુજરાત વહીવટી માળખામાં મોટી બદલીના ભણકારા વાગી રહ્યાં છે. એકસાથે 60 જેટલા અધિકારીઓની બદલી કરવામાં આવે તેવી શક્યતાઓ છે. આ બદલી લાભ પાંચમ બાદ બદલીના ઓર્ડર ઇશ્યુ કરાય તેવી ચર્ચા છે ત્યારે ગુજરાતના કમિશનર ઓફ સ્કૂલ દ્વારા 25 મુખ્ય કારકુનને સંવર્ગમાંથી ઓડિટર ગ્રુપ 1માં બઢતી સાથે બદલી અંગેના હુક્મો કર્યા છે. આ બઢતીવાળા સ્થળે હાજર થવામાં કસુર કરશો તો શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

 ગુજરાતની આઠ બેઠકોની પેટાચૂંટણી પૂર્ણ થઇ છે. દિવાળીના તહેવારો પૂર્ણ થયા છે. આગામી દિવસોમાં મહાનગરપાલિકા તથા નગરપાલિકાઓની ચૂંટણીની પડઘમ વાગી રહ્યાં છે. જેથી હવે ગુજરાત વહીવટી માળખામાં બદલીની ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. જેના ભાગરૂપે જ આજે નૂતન વર્ષના બીજા દિવસે જ કમિશનર, શાળાઓની કચેરી દ્વારા રાજયમાં મુખ્ય કારકુન ( વર્ગ / 3 )સંવર્ગમાંથી ઓડિટર ગ્રુપ 1 (વર્ગ 3) તરીકે 25 જણાંને બઢતી આપવાના હુક્મો કર્યા છે. જેમાં ગાંધીનગર સ્થિત શિક્ષણ વિભાગની કચેરીઓમાં ફરજ બજાવતાં નવ જણાંની બઢતી સાથે બદલી કરાઇ છે. જયારે દાહોદ, વલસાડ, સાબરકાંઠા, ડાંગ, અમદાવાદ શહેર, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, મહેસાણા તેમ જ જૂનાગઢ, કચ્છ, જામનગર અને રાજકોટ જિલ્લાના કર્મચારીઓની બઢતી સાથે બદલી કરાઇ છે

નાયબ શિક્ષણ મહાનિયામક ( મહેકમ ) મહેશ મહેતાએ જણાવ્યું છે કે, સામાન્ય વહીવટ વિભાગના પરિપત્રની જોગવાઇ મુજબ તેમના કાબૂ બહારના સંજોગો સિવાય બઢતીવાળી જગ્યાએ હાજર નહીં થાય તો તેમની સામે ગુજરાત મુલ્કી સેવા નિયમો ( શિસ્ત અને અપીલ ) નિયમોની જોગવાઇ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. સરકારના વખતો વખતના પરિપત્ર તથા ઠરાવોની જોગવાઇઓ મુજબ નક્કી કરવાની રહેશે. આ અંગે ભવિષ્યમાં ડિમ્ડ / શ્રેયાનતા, પગાર વિસંગતતા કે અન્ય કોઇ પ્રશ્નો ઉપસ્થિત કરી શકાશે નહીં. જો કોઇ કર્મચારી બઢતીનો અસ્વીકાર કરશે તો તેઓ સામે આ ઠરાવની 3 ( 20 )ની જોગવાઇ મુજબ ઉચ્ચત્તર પગાર ધોરણ પરત લેવાની કાર્યવાહી કરવામાં આવશે.

વધુમાં એમ પણ જણાવ્યું છે કે, બદલીવાળી જગ્યા ઉપર હાજર થઇને કર્મચારીઓએ ત્રણ દિવસમાં રિપોર્ટ મેઇલ મારફતે મોકલી આપવાનો રહેશે તેવી સૂચના પણ જારી કરવામાં આવી છે

(7:40 pm IST)