Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

વડોદરાના નાગરવાડા વિસ્તારમાં રહેતા આધેડની લાશ ખંભોળજ હાઇવે પરથી મળી આવતા હત્યાની આશંકા

વડોદરા: વડોદરાના નાગરવાડાના ટેક્સી ડ્રાઇવિંગ કરતો આધેડ રહસ્યમય સંજોગોમાં વાસી ઉત્તરાયણના દિવસે લાપત્તા થઇ ગયા બાદ તેની લાશ ખંભોળજ પાસેના હાઇવે પરથી મળી  હતી. પરિવારજનોએ હત્યાની આશંકા દર્શાવતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ અંગેની વિગત એવી છે કે નાગરવાડા વિસ્તારમાં રહેતા ૫૩ વર્ષના સુજાતહુસેન ઝહીરહુસેન સૈયદ ટેક્સી ડ્રાઇવિંગ કરે છે. રવિવારે તેઓ ટેક્સી લઇને નીકળ્યા બાદ એક કલાક પછી મોબાઇલ ફોન બંધ થઇ ગયો હતો. લાંબા સમય સુધી રાહ જોયા બાદ પરિવારના સભ્યો રેલવે પોલીસમાં ફરિયાદ આપવા ગયા હતા પરંતુ રેલવે પોલીસે પરિવારના સભ્યોને સયાજીગંજ પોલીસમાં મોકલ્યા હતાં. જ્યાંથી પરત રેલવે પોલીસમાં મોકલતા પોલીસે સુજાતહુસેન ગુમ થયો હોવાની નોંધ કરી હતી.

દરમિયાન આજે સવારે એક્સપ્રેસ હાઇવે પર ખંભોળજ પાસે સુજાતહુસેનની લાશ મળી હતી. આ અંગેની જાણ પરિવારના સભ્યોને થતાં તેઓ ત્યાં પહોંચી ગયા હતા અને સુજાતહુસેનની હત્યા કરવામાં આવી છે તેવી આશંકા વ્યક્ત કરતાં પોલીસ દ્વારા પેનલ પીએમ કરાવાયું હતું. પરિવારના સભ્યોએ એવો પણ આક્ષેપ કર્યો હ તો કે તેની સાથે રઇશ નામનો શખ્સ હતો જેથી પોલીસે તે દિશામાં પણ તપાસ શરૃ કરી છે. આવતીકાલે પીએમ રિપોર્ટ આવ્યા બાદ સાચી વિગત બહાર આવશે.

(5:00 pm IST)