Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

યુવતા ૫ દિ'થી સાસરે આવી'તીઃ વાતો કરી શકતા ન હોય ચેટિંગ કરતાઃ ગેસ લીકેજ કે બીજું કંઈ?

બહેરા- મુંગા પટેલ દંપતિના કમોતથી ભારે ચર્ચા

સુરતઃ નાનપુરા વિસ્તારના એક એપાર્ટમેન્ટના ફલેટના બાથરૂમમાંથી મુકબધિર ફિયાન્સ-ફિયાન્સી મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ મુકબધીર યુગલની પંદર દિવસ પહેલા જ સગાઈ થઈ હતી અને ફિયાન્સી પાંચ દિવસથી સાસરીમાં રહેવા માટે આવી હતી. દરમિયાન આજે સવારે બાથરૂમમાંથી યુગલના રહસ્યમ સંજોગોમાં મૃત હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી છે.

ચકચારીત બનાવની સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ નાનપુરા શ્રીરંગ સોસાયટીમાં રહેતા અર્પિત નરેશભાઈ પટેલ (ઉ.વ.૨૪)ના પરિવારમાં એક બહેન છે, પિતા આયુર્વેદિક દવાખાનું ચલાવે છે. જયારે મુકબધીર અર્પિત મોલમાં નોકરી કરે છે. અર્પિતના ગત ૩૧ જાન્યુઆરીના રોજ મૂળ વલસાડના ધરમપુરના અને હાલ કામરેજના રાજનગર ખાતે રહેતા અને દરજી કામ કરતા જયેશભાઈ ટેલરની મુકબધીર પુત્રી ધ્રુતિકુમરી (ઉ.વ.૨૧) સાથે થઇ હતી અને બંનેના એપ્રિલ મહિનામાં લગ્ન લેવાની વાતો ચાલતી હતી. સગાઈ બાદ બંને યુગલો ખુશ હતા. ધ્રુતિકુમારી છેલ્લા પાંચ દિવસથી સાસરીમાં રહેવા માટે આવી હતી. દરમિયાન ગઈકાલે સાંજે અર્પિતાની બહેન ઘરે આવી હતી. પરંતુ અર્પિત અને ભાભી ધ્રુતિકુમારી ન દેખાતા શોધખોળ કરી હતી તે દરમિયાન બંને જણા બાથરૂમમાંથી મૃત હાલતમાં મળી આવ્યા. પરિવારમાં શોકમાં ગરકાવ થઈ ગયો છે. બાથરૂમનો દરવાજા ખુલ્લો અને નળ ચાલુ હતો. ગેસ ગીઝરનો ગેસ લીકેજ થવાથી ગૂંગળામણથી મોત થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યાં છે. જો કે બન્નેના રહસ્યમય મોતને લઈ અનેક પ્રશ્નો ઉભા થયા છે.

અર્પિત પટેલ અને ધ્રુતિકુમારીની પંદર દિવસ પહેલા સગાઈ થઈ હતી. સગાઈ બાદ ખૂબ જ ખુશ હતા. બંને મુકબધીર હોવાથી તેઓ સગાઈ પછી એકબીજા સાથે વાતો નહીં કરી શકતા હોવાથી તેઓ સોશિયલ મીડિયામાં ચેટીંગ કરી પ્રેમનો એકરાર કરતા હતા. એકબીજા વગર ચાલતું પણ ન હતું. ૫ દિવસથી ધ્રુતિકુમારી તેના સાસરે રહેતી હતી. મુકબધિર યુગલના રહસ્યમય મોતને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી છે.

(4:00 pm IST)