Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

અમદાવાદમાં ૮૦ ભુમાફીયા સામે ૧૯ કેસમાં FIR નોંધી ફોજદારી કાર્યવાહી કરવાનો તંત્રનો નિર્ણય

આજે કલેકટરની અધ્‍યક્ષતા હેઠળની સમિતિના નિર્ણય બાદ અન્‍ય ૩ કિસ્‍સામાં લેન્‍ડ ગ્રેબિંગ હેઠળ FIR નોંધી ફોજદારી કાર્યવાહીનો નિર્ણય

અમદાવાદ : કલેકટર સંદીપ સાગલેના અધ્યક્ષ સ્થાને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળની કમિટીએ જિલ્લાના 80 ભુમાફીઆ સામે અલગ અલગ 19 કેસમાં 19 એફ.આઇ.આર. નોંધી ફોજદારી કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે.

અમદાવાદમાં 2021માં લેન્ડ ગ્રેબિંગના જન્યુઆરીમાં 5 કેસ, માર્ચમાં 3 કેસ અને મેમાં 8 કેસ દાખલ થતા કુલ 16 એફ.આઇ.આર. નોંધવામાં આવી હતી. આજની બેઠકમાં કલેક્ટરની અધ્યક્ષતા હેઠળની સમિતિના નિર્ણય બાદ અન્ય 3 કિસ્સામાં લેન્ડ ગ્રેબિંગના હેઠળ એફ.આઇ.આર. નોંધી ફોજદારી કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે.

2021માં લેન્ડ ગ્રેબિંગના 19 કિસ્સામાં 11 સરકારી જમીન અને 8 ખાનગી જમીન ભુમાફીઆના સકંજામાંથી મુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરી. જેમા ખાનગી જમીનના કિસ્સામાં 28 ભુમાફીઆ અને સરકારી જમીનના કિસ્સામાં 52 ભુમાફીઓ સામે ફોજદારી કાર્યવાહી આદરી છે.

1119.07 કરોડની ખાનગી માલીકીની 298695 ચો.મી. જમીન અને 487.07 કરોડની 269864 ચો.મી. સરકારી જમીન મળી અમદાવાદ જિલ્લાની કુલ 1606.14 કરોડની 5,67,659 ચો. મી. જમીન ખાલી કરવાની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. સરકારી માલીકીની જમીન ઉપર ગેરકાયદે દબાણ કરી નફો રળતા તત્વો સામે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવશે. કલેકટરએ કહ્યું છે કે, અમદાવાદ જિલ્લામાં જમીન હડપવાની પ્રવૃત્તિમાં સંડોવાયેલા ભૂમાફિયાઓને બક્ષવામાં નહીં આવે.

અત્રે ઉલ્લેખનીય છે કે જમીન પચાવી પડવાના પ્રતિબંધના કાયદા 2020 અંતર્ગત કાયદેસરની બીજાની માલીકીની જમીન, મિલકત બળજબરીથી, આર્થિક ઉપાર્જન મેળવવા, કપટ કરી, ફ્રોડ કરી, ધાક ધમકી આપી પચાવી પાડનાર સામે ફોજદારી પગલાં લેવાની અને ગુનો સાબિત થયે 10 થી 14 વર્ષ જેલની સજાની જોગવાઈ છે.

(9:54 pm IST)