Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

સભામાં ક્યાંથી એન્ટ્રી લેવા તે અંગે અજાણ હોવાથી વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ત્યાંથી નિકળી પરત ફર્યા

પીએમ મોદીના આટલા મોટા કાર્યક્રમમાં તેઓ હાજર રહી ન શકવાને કારણે તેમના સમર્થકો નિરાશ થયા

વડોદરા: વડોદરાની વાઘોડિયા વિધાસભા સીટના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પીએમ મોદીની જંગી સભા સુધી પહોંચી શક્યા ન હતા. સુત્રોના જણાવ્યા પ્રમાણે તેઓને સભામાં ક્યાંથી એન્ટ્રી લેવા તે અંગે અજાણ હોવાથી તેઓ ત્યાંથી નિકળી પરત ફર્યા હતા.
વડોદરામાં વાઘોડિયા વિધાનસભા સીટ પર ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ચુંટાયેલા છે. તેઓની દબંગ નેતાની ઇમેજ છે. અવાર નવાર તેમના નિવેદનોને કારણે તેઓ પ્રસાર માધ્યમોમાં થવાયેલા રહે છે. આજે પીએમ મોદીએ વડોદરામાં જંગી સભાને સંબોધી હતી. અને કરોડોના વિકાસના કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું હતું. તેવામાં રાજ્ય સરકારના તમામ મંત્રી તથા વડોદરા અને આસપાસના તમામ ધારાસભ્યો કાર્યક્રમમાં હાજર હતા. તેવામાં એક વાત આંખે ઉડીને આવે તેવી હતી.
વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ કાર્યક્રમમાં જોવા મળ્યા ન હતા. સુત્રોના જણાવ્યા પ્રમાણે, મધુ શ્રીવાસ્તવ પીએમ મોદીના કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. ત્યાં સ્થળ પાસે પહોંચ્યા બાદ તેઓએ એન્ટ્રી ક્યાંથી લેવી તે અંગે કોઇ માહિતી હતી નહિ. જેને કારણે તેઓ ત્યાં પહોંચ્યા તો ખરા પણ આગળ વધીને સભા સ્થળ સુધી પહોંચી શક્યા ન હતા.  જેથી તેઓ ત્યાંથી પરત ફર્યા હતા. પરત ફરતા તેઓ પોતાની કાર પાસે આવીને ત્યાંથી જતા રહ્યા હતા.
ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દબંગ ધારાસભ્યની છબી ધરાવતા હોવાની સાથે યુવાનોથી લઇને વૃદ્ધો સુધીમાં લોકપ્રિયતા ધરાવે છે. ત્યારે ચુંટણી પહેલા વડોદરામાં આયોજિત પીએમ મોદીના કાર્યક્રમમાં તેઓ હાજર ન રહી શકવાને કારણે બહારથી જ પરત ફર્યા હતા. પીએમ મોદીના આટલા મોટા કાર્યક્રમમાં તેઓ હાજર રહી ન શકવાને કારણે તેમના સમર્થકો નિરાશ થયા હતા.

(6:02 pm IST)