Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

મંત્રીઓ પછી બાબુઓનો વારો : અધિકારીઓની તોળાતી બદલી

ખૂબ મોટાપાયે અધિકારીઓની બદલીની તૈયારીઓ થઇ રહી હોવાની ચર્ચા જાણકારોના સર્કલમાં ચાલી રહી છે ભાજપ હાઈકમાન્ડનો સ્પષ્ટ સંદેશ કે તેઓ રાજયમાં સંપૂર્ણ નવું એડમિનિસ્ટ્રેશન લાવવા ઈચ્છુક છે : મંત્રીઓ સેક્રેટરીઓ વચ્ચે મિત્રતા થઈ હોય જેને લઈને તમામ વિભાગોમાં મોટાપાયે બદલી કરવામાં આવશે

અમદાવાદ તા. ૧૮ : રાજયમાં મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળની સંપૂર્ણ ફેરબદલ કર્યા પછી, ગાંધીનગરમા મુખ્યમંત્રી કાર્યાલય (CMO) માં ફરજ બજાવતા અધિકારીઓને પણ દૂર કરવામાં આવ્યા બાદ હવે રાજયની અમલદારશાહીમાં આગામી પખવાડિયામાં મોટો ફેરબદલ થવાની સંભાવના અંગે મજબૂત ચર્ચા કરવામાં આવી રહી છે.

હાલમાં, રાજયના સીનિયર બાબુઓ જેવા કે વિજય રૂપાણીના CMO માં એડિશનલ ચીફ સેક્રેટરી (ACS) મનોજ દાસ, મુખ્યમંત્રીના સેક્રેટરી અશ્વિની કુમારના, અને ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી (OSD) ડી.એચ. શાહ તેમના સ્થાને નવા અધિકારીઓની નિમણૂક થયા બાદ પોતાને કયાં નિયમિત પોસ્ટિંગ મળશે તેની રાહ જોઈ રહ્યા છે.

આ ઉપરાંત પંકજ જોશીને સીએમ ભૂપેન્દ્ર પટેલના નવા એસીએસ બનાવવામાં આવ્યા બાદ સરકારે નાણાં વિભાગમાં નવા એસીએસની નિમણૂક પણ કરવી પડશે. તેમજ અત્યાર સુધી જોશી ભરૂચ સ્થિત જીએનએફસીનો વધારાનો હવાલો સંભાળી રહ્યા છે અને તેમાંથી પણ તેમને રાહત આપવામાં આવશે તેવી અપેક્ષા છે. આ ઉપરાંત મુખ્યમંત્રીના સચિવ તરીકે નિમણૂક પામેલા ગુજરાત મેરીટાઇમ બોર્ડના સીઇઓ અવંતિકા સિંહ કદાચ બોર્ડનો વધારાનો ચાર્જ સંભાળી શકે છે.

આ બાબતે સમગ્ર ડેવલોપમેન્ટ અંગે જાણકારી રાખનારા સૂત્રોએ જણાવ્યું હતું કે, 'તમામ મંત્રીઓને પડતા મૂકીને ભાજપ હાઇકમાન્ડે સ્પષ્ટ સંદેશો આપ્યો હતો કે તેઓ એડમિનિસ્ટ્રેશનમાં એકદમ નવીનતા લાવવા માંગે છે. ઘણા પ્રધાનોએ તેમના વિભાગના સચિવો સાથે અનુકૂળ સંબંધો વિકસાવ્યા હતા. ત્યારે મંત્રીઓમાં ફેરફારની સાથે સાથે હવે બ્યુરોક્રસીમાં પણ મોટાપાયે ફેરફાર થવાની શકયતા છે. ખાસ કરીને જુલાઈમાં કરવામાં આવેલા ફેરબદલમાં અસરગ્રસ્ત મોટાભાગના ટ્રાન્સફરને આની અસર થવાની સંભાવના છે.'

'એક વાતની જોરદાર ચર્ચા છે કે નવા મુખ્યમંત્રી જિલ્લા કલેકટર અને અન્ય ફિલ્ડ લેવલના અધિકારીઓની બદલી કરશે જેમને તેમના પુરોગામી દ્વારા નિયુકત કરવામાં આવ્યા હતા. આઇએએસ અને આઇપીએસ બંને સર્કલમાં આગામી સપ્તાહમાં અથવા ૧૦ દિવસમાં મોટા પ્રમાણમાં ટ્રાન્સફરની અપેક્ષા છે. આગામી વર્ષની ચૂંટણી પર આની મોટી અસર પડશે,' સૂત્રોએ ઉમેર્યું. રાજય સરકારના તમામ મુખ્ય વિભાગોને નવા સત્તાવાર વડા મળે તેવી શકયતા છે.

(11:58 am IST)