Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

આણંદ શહેરની પરિણીતા પર શારીરિક માનસિક ત્રાસ ગુજારી પરેશાન કરનાર પતિ વિરુદ્ધ ગુનો દાખલ

આણંદ : આણંદ શહેરની એક પરિણીતા ઉપર પતિએ શારીરિક માનસિક ત્રાસ ગુજારી તેણીના ક્રેડિટ કાર્ડમાંથી રૂા.૨ લાખનું ટ્રાન્ઝેક્શન કરી લેતા આણંદ મહિલા પોલીસ દફતરે આ અંગે ફરિયાદ નોંધાવવા પામી છે. પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે પતિ વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ મહિસાગર જિલ્લાના રતનકૂવાની રહેવાસી બેલાબેન વર્ષ ૨૦૦૫માં આણંદ પાસેના હાડગુડ ખાતે પરિવારના સભ્યના ઘરે રહેવા માટે આવી હતી અને હાડગુડ ખાતે રહીને તેણી કોલેજનો અભ્યાસ કરતી હતી. દરમ્યાન આણંદના મૌલિકભાઈ કાંતિભાઈ પ્રજાપતિ સાથે તેણીનો પરિચય થતાં બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો અને વર્ષ ૨૦૦૬માં બંનેએ લગ્ન કરી લીધા હતા. સુખી લગ્નજીવનના ફળસ્વરૂપે તેઓને એક પુત્રની પણ પ્રાપ્તિ થઈ હતી. 

જો કે ત્યારબાદ પતિ મૌલિકભાઈ પ્રજાપતિએ બેલાબેન ઉપર શારીરિક માનસિક ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું. બાદમાં બેલાબેનનું ક્રેડિટ કાર્ડ લઈને રૂા.૨ લાખનું ટ્રાન્ઝેક્શન કરી નાખ્યું હતું. જે અંગે બેલાબેનને જાણ થતાં તેઓએ પતિ મૌલિકભાઈને આ ટ્રાન્ઝેક્શન અંગે પુછપરછ કરતા મૌલિકભાઈએ શારીરિક માનસિક ત્રાસ ગુજારી મારઝુડ કરી હતી. 

(5:13 pm IST)