Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

અમદાવાદમાં કોરોનાએ ફૂફાડો માર્યો : સરકારી પછી ખાનગી હોસ્પિટલો ઉભરાઈ: 72 હોસ્પિટલને કોવિડ માટે રિઝર્વ કરાઈ

એએમસી દ્વારા જાહેર કરવામાં આવેલા કોવિડ-19 હોસ્પિટલમાં તો બેડ જ ખૂટી પડ્યા

અમદાવાદમાં તહેવારોમાં લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના નિયમોનું પાલન કર્યુ ન હતુ. લોકો બજારોમાં કીડિયારાની જેમ ઊભરાયા હતા. કોરોનાનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. અમદાવાદમાં પહેલા સરકારી હોસ્પિટલો ફુલ થઈ અને તેના પછી હવે ખાનગી હોસ્પિટલો પણ ફુલ થઈ ગઈ છે. અમદાવાદના હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સના પ્રમુખ ડો. ભરત ગઢવીએ જ આમ જણાવ્યું છે. ખાનગી હોસ્પિટલના 90થી 95 ટકા બેડ ભરાઈ ગયા છે.

એએમસી દ્વારા જાહેર કરવામાં આવેલા કોવિડ-19 હોસ્પિટલમાં તો બેડ જ ખૂટી પડ્યા છે. અમદાવાદ શહેરની 72 હોસ્પિટલને કોવિડ માટે રિઝર્વ કરાઈ છે. અમદાવાદની હોસ્પિટલોમાં કુલ 2,256 બેડમાંથી  2,085 બેડમાં દર્દીઓ દાખલ છે. ખાનગી હોસ્પિટલમાં પણ હવે માંડ 171 બેડ જ ખાલી છે. હોમ આઇસોલેશનમાં હોય તેવા 786 દર્દી છે અને તેમા હવે ખાલી જગ્યા ફક્ત 89 છે. એચડીયુમાં 794ના દર્દી છે અને તેમા 94 બેડ જ ખાલી છે. વેન્ટિલેગર વગરના આઇસીયુ પર 346 દર્દીઓ સારવાર પર છે અને તેમા પણ ખાલી બેડ 20 છે. વેન્ટિલેટર વિથ આઇસીયુ પર 156 દર્દીઓ સારવાર પર છે અને ખાલી બેડ ફક્ત 16 જ છે.

અમદાવાદીઓ માટે દિવાળીના તહેવાર મજાની સાથે સજા પણ લઈને આવ્યા છે. શહેરમાં કોરોનાના કેસોમાં  અવિરત ધોરણે વધારો થઈ રહ્યો છે. એકલી અસારવા સિવિલ હોસ્પિટલમાં જ દૈનિક કેસોની સંખ્યા 100ને વટાવવાની તૈયારીમાં છે. તેના પછી હવે સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાના કેસોના દર્દીઓમાં વધારો થયો છે.

સોલા સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ અવિરત દોડી રહી છે. સોલા સિવિલમાં પણ દર્દીઓનો આંકડો 100ને પાર થવાની તૈયારીમાં છે. અમદાવાદમાં તહેવારો દરમિયાન શહેરમાં લોકો જાણે કોરોના જતાં રહ્યો હોય તેમ કીડિયારાની જેમ ઉભરાયા હતા, હવે તેમને ખરીદીનો આ ઉત્સાહ મોંઘો પડી રહ્યો છે. કોરોનાના કેસમાં એક પછી એક વધારો થઈ રહ્યો છે.

તહેવારોના લીધે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના નિયમનું પાલન કોરાણે મૂકી દેતા સોલા સિવિલમાં આઇસીયુ બેડ ભરાઈ ગયા છે. એક પણ બેડ ખાલી નથી. કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થતા સોલા સિવિલમાં નવા માળ પર 100 બેડની વ્યવસ્થા કરવામાં આવે છે. સોલા સિવિલમાં દાખલ દર્દીઓની સંખ્યા 300નો આંક વટાવવાની તૈયારીમાં છે. સોલા સિવિલ હોસ્પિટલમાં માંડ 100 બેડ જ ખાલી રહ્યા છે. હવે કોરોનાના કેસો ફરીથી વધતા હોસ્પિટલો ભરાઈ રહી છે.

દિવાળીના તહેવારો શરૂ થતાં જ અમદાવાદ શહેરના બજારોમાં કીડિયારુ ઉભરાયું હોય તે રીતે લોકો ફરતા જોવા મળતા હતા. આ સિવાય સોશિયલ ડિસ્ટન્સથી લઈને માસ્કનું પણ પાલન કરતાં ન હતા. લોકો જાણે કોરોના જતો રહ્યો તેમ માનીને ફરતા હતા, વાસ્તવમાં કોરોના ગયો ન હતો પરંતુ વધારે તીવ્રતાથી ત્રાટકી રહ્યો છે. આના પગલે આરોગ્ય મંત્રી નીતિન પટેલ પણ અસારવા સિવિલ ખાતે દોડી આ્યા હતા અને સ્થિતિની સમીક્ષા કરી હતી.

એક સમયે સિવિલમાં કોરોનાના દર્દીઓ ઘટી રહ્યા હતા, પરંતુ દિવાળીના તહેવારો પછી દર્દીઓ માં 50 ટકાનો ઉછાળો નોંધાયોછે. તેમા પણ હાલ સામાન્ય દર્દીઓ કરતાં ઓક્સિજન પરના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. નવા વર્ષે જ સિવિલમાં લગભગ દોઢસો દર્દી દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં સારવાર લઈ રહેલા 600 પ્લસ દર્દીઓમાં 500 જેટલા દર્દીઓ ઓક્સિજન પર છે. હજી પણ દર્દીઓની સંખ્યા વધી રહી છે અને હવે આવનારા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં મોકલવા પડે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

(8:25 pm IST)