Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

ગુજરાત પોલીસ મજબૂતાઇ થી રાજ્યના સમુદ્ર તટો અને સરહદો ની સુરક્ષા કરી રહી છે એટલે નશીલા પદાર્થો ઘુસાડવાના પ્રયાસો નાકામ બનાવવામાં સફળ થાય છે : ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી

વડોદરાના કેસમાં પીડિતાને અને પીડિતાના પરિવારને ન્યાય અપાવવાની જવાબદારી ગુજરાત પોલીસ અદા કરશે

  રાજકોટ તા.૧૮ ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ સોખડા ખાતેથી વડોદરા જિલ્લામાં રાજ્યવ્યાપી આત્મ નિર્ભર ગ્રામ વિકાસ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.આ પ્રસંગે તેમણે માધ્યમો સાથેના સંવાદમાં નશીલા પદાર્થોનો જથ્થો ઝડપવા,વડોદરાની પીડિતાના કેસની તપાસમાં,અને ભરૂચ જિલ્લામાં ધર્મ પરિવર્તનના કિસ્સામાં રાજ્ય પોલીસની અસરકારક કામગીરીની વિગતો આપી હતી.

   ગુજરાત પોલીસ મજબૂતાઇ થી રાજ્યના સમુદ્ર તટો અને સરહદોની સુરક્ષા કરી રહી છે એટલે નશીલા પદાર્થો ઘુસાડવાના પ્રયાસો નાકામ બનાવવામાં સફળતા મળી રહી છે એવી જાણકારી આપતાં તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રીશ્રી તથા ગૃહ મંત્રીશ્રીની પ્રેરણાથી ભારત સરકારે સમુદ્રી અને જમીની સરહદોની સુરક્ષાની નવી યોજનાઓ,આયોજનો અમલમાં મૂક્યા છે જેનો ગુજરાતને પણ લાભ મળી રહ્યો છે.

   રાજ્યના યુવાનો નશાના પંજામાં ફસાય નહિ તે માટે ગુજરાત પોલીસ રાજ્યના તમામ પ્રવેશ માર્ગો,સરહદો પર ચકોર નજર રાખવાની સાથે નશીલા પદાર્થોની ઘૂસણખોરી અટકાવવા જરૂરી સાવચેતી રાખી રહી છે.જેઓ નશીલા પદાર્થો ઘૂસાડવાનો ગુનો આચરશે તેમને નિશ્ચિત પણે લાંબા સમય સુધી જેલવાસ ભોગવવો પડશે એવો સંકેત તેમણે આપ્યો હતો.

  વડોદરાની પીડિતાના કેસમાં ગુજરાતની પોલીસ હદની ચિંતા કર્યા વગર વિવિધ ટીમો બનાવી ને તપાસ કરી રહી છે અને રેલવેના  નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી પણ તપાસ કરી રહ્યાં છે તેવી જાણકારી આપતાં ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું કે,રાજ્યની પોલીસ ખૂબ જ મજબૂતાઇથી આ કેસમાં તપાસ કરી રહી છે.ટુંક સમયમાં જ આરોપીઓને ઝડપી પાડવામાં આવશે.કોઈ આરોપી લાંબો સમય સુધી પોલીસ પકડમાંથી મુક્ત નહિ રહી શકે.હું અને રાજ્યના પોલીસ જવાનો પીડિતાના ભાઈ જેવા છે.પીડિતા અને પીડિતાના પરિવારને ન્યાય અપાવવાની જવાબદારી પૂરી કરીશું.

   ગુજરાતમાં ધર્મ પરિવર્તનના પ્રયાસો સાંખી નહિ લેવાય તેવી લાગણી વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે,રાજ્ય પોલીસ અને ભરૂચ પોલીસ ધર્મ પરિવર્તનની ઘટના સામે કડકાઈ થી કામ લઈ રહી છે. આફમી ટ્રસ્ટ અને સંડોવાયેલા વ્યક્તિઓ સામે પગલાં લેવામાં આવી રહ્યાં છે.આ બાબતમાં કાયદાની કોઈ છટકબારી ચલાવી નહિ લેવાય અને ધર્મ પરિવર્તન કરાવનારાઓ સામે કડકાઈ દાખવવામાં આવશે.

 

(6:18 pm IST)