Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન આયોજીત “શ્રી મુક્તજીવન સ્વામીબાપા મોક્ષદાયી સ્મૃતિ યાત્રા, દક્ષિણ ભારત” માં આચાર્ય શ્રી જ્ઞાનમહોદધિ જિતેન્દ્રિયપ્રયદાસજી સ્વામીજી મહારાજે ત્રિવેન્દ્રમના સુપ્રખ્યાત જટાયુ અર્થ સેન્ટર તથા શ્રી પદ્મનાભ મંદિરને પુનિત પદરેણુથી પાવન કર્યું ...

અરબી સમુદ્ર તટે શ્રીહરિજી તથા શ્રી મુક્તજીવન સ્વામીબાપાને પંચામૃતથી અભિષેક સ્નાન..

સર્વોપરી સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાને અનેક મુમુક્ષુઓના કલ્યાણ માટે તથા તીર્થને તીર્થોત્તમ બનાવવા માટે વનવિચરણ કર્યું. નીલકંઠવર્ણી વન વિચરણ દરમ્યાન ત્રિવેન્દ્રમ પધાર્યા હતા. ૨૨૪ વર્ષ પૂર્વે સર્વોપરી સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનના પુનિત પદરેણુથી આ ભૂમિ પાવન થયેલી છે.

 કેરળ - ત્રિવેન્દ્રમનાં મુખ્ય આકર્ષણના સ્થળો જટાયુ અર્થ સેન્ટર, શ્રી પદ્મનાભ મંદિર તથા અરબી સમુદ્ર વગેરે છે.

જટાયુ અર્થ સેન્ટર કેરળના કોલ્લમ જિલ્લાના ચદાયમંગલમ ગામમાં આવેલું છે. જટાયુ અર્થ સેન્ટરનું નિર્માણ એ જ સ્થળે થયું છે જ્યાં રાવણ સાથે લડાઈ વખતે ઘાયલ થઈને તેઓ પડ્યા હતા. ત્રેતા યુગમાં રાવણે સીતા માતાનું અપહરણ કરીને લઈ જતા હતા ત્યારે પક્ષીરાજ જટાયુએ સીતાને બચાવવાની કોશિશ કરી હતી.

જટાયુએ જ શ્રીરામને જણાવ્યું હતું કે રાવણ સીતા માતાનું અપહરણ કરીને લંકા લઈ ગયો છે.બાદમાં જટાયુએ પોતાના પ્રાણ ત્યાગી દીધા હતા.શ્રીરામ અને તેમના ભાઈ લક્ષ્મણે જટાયુની અંતિમક્રિયા કરી હતી.

જટાયુ અર્થ સેન્ટર પહાડ પર બનેલું છે. જટાયુ અર્થ સેન્ટર ૨૦૦ ફૂટ લાંબુ, ૧૫૦ ફૂટ પહોળું અને ૭૦ ફૂટ ઊંચું છે. આની ગણના દુનિયાના સૌથી મોટા પક્ષી સ્કલ્પચર તરીકે થાય છે.

શ્રી પદ્મનાભ મંદિર ભગવાન વિષ્ણુનું આ મંદિર ત્રાવણકોરના રાજાઓએ છઠ્ઠી સદીમાં બનાવ્યું હતું, જેનો ઉલ્લેખ નવમી સદીના ગ્રંથોમાં મળે છે. કહેવાય છે કે આ રાજાઓએ પોતાનો બધો ખજાનો આ મંદિરમાં જ છુપાવી રાખ્યો છે. આ મંદિરમાં સાત ભોંયરાઓ છે, જેમાંથી છ ભોંયરાઓ ખોલવામાં આવ્યા છે અને તેમાંથી ઘણી કિંમતી વસ્તુઓ મળી આવી છે. તેનો સાતમો દરવાજો ખોલવાનો બાકી છે. કહેવાય છે કે જો આ ગેટ ખોલવામાં આવશે તો તેમાં એટલો ખજાનો બહાર આવશે કે ભારત ફરી એકવાર સમૃદ્ધ બની શકે છે.

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ ભગવાનની સાર્વભૌમ નાદવંશીય ગુરુપરંપરાના ષષ્ઠ વારસદાર પ્રવર્તમાન આચાર્યશ્રી જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં "શ્રી મુક્તજીવન સ્વામીબાપા મોક્ષદાયી સ્મૃતિયાત્રા" ૫૦૦ કરતા વધુ સંતો તથા દેશ વિદેશના હરિભકતોના વિશાળ સમુદાય સાથે દક્ષિણ ભારતનાં ત્રિવેન્દ્રમના સુપ્રખ્યાત જટાયુ અર્થ સેન્ટર તથા પદ્મનાભ મંદિરને પુનિત પદરેણુથી પાવન કરી. વળી, અરબી સમુદ્ર તટે શ્રીઠાકોરજીને પંચામૃતથી અભિષેક વિધિ કરવામાં આવ્યો હતો તેમજ સમુદ્રસ્નાન પણ કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં હરિભક્તોએ અનેરા ઉત્સાહથી લાભ માણ્યો હતો. સ્થાનિક તેમજ દેશ-વિદેશના અનેક ભાવિકો પણ ઉમંગભેર જોડાયા હતા.

(5:42 pm IST)