Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

FDI અને IPOનો નિર્ણય પરત ખેંચવા કર્મીઓની માગ

LIC કર્મચારીઓ ખાનગીકરણના વિરોધમાં રસ્તા પર : ગોધરા સહિત પંચમહાલમાં કર્મીઓએ એલઆઈસીની કચેરી બહાર ભારે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શિત કર્યો

પંચમહાલ, તા. ૧૮ : ભારતીય જીવન વીમા નિગમના કર્મચારીઓએ  એફડીઆઈ ૭૪% અને આઇપીઓનો નિર્ણય પરત ખેંચવા સહિતની માંગણીઓ મુદ્દે દેશભરમાં કરાયેલા વિરોધ પ્રદર્શનમાં ગોધરા સહિત પંચમહાલ જિલ્લામાં કર્મચારીઓએ જોડાઈ કચેરી બહાર સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો. જો તેમની માંગ સંતોષવામાં નહી આવે તો ઉગ્ર આંદ્લોનની ચિમકી પણ ઉચ્ચારી રહ્યા છે.કેન્દ્ર સરકારે તાજેતરમાં બજેટમાં એફડીઆઈ ૭૪% કરવા અને એલઆઇસી આઇપીઓ બહાર પાડવા અંગે જાહેરાત કરી છે. જે બાબતનો એલઆઇસીમાં ફરજ બજાવતાં કર્મચારીઓમાં વિરોધ ઉઠ્યો છે. ઉપરાંત કર્મચારીઓના પગાર વધારા માંગણીનું સેટલમેન્ટ છેલ્લા ૪૨ મહિના વીતવા છતાં કરવામાં આવ્યું નથી. જેનો પણ કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

ત્રણ માંગણી મુદ્દે દેશભરમાં એલઆઇસી યુનિયનના કર્મચારીઓએ વિરોધ પ્રદર્શનના ભાગરૂપે સૂત્રોચ્ચાર કર્યા હતા. કર્મચારીઓએ જણાવ્યું હતું કે, એલઆઇસી સરકાર માટે સોનાનું ઇડું આપતી મરઘી સમાન છે. ત્યારે સરકાર એફડીઆઈ ૭૪% અને આઇપીઓ બહાર પાડવાની જાહેરાત કરી જે યોગ્ય બાબત નથી એવો મત વ્યક્ત કરી બંને નિર્ણય પરત ખેંચવાની માંગણી કરી રહ્યા છે. ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી પગાર વધારો કરવાની માંગણી મુદ્દે  રજુઆત કરવા છતાં કોઈ નિર્ણય લેવાયો નથી. જે મુદ્દે કચેરી બહાર સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કર્મચારીઓની માંગણીઓ નહિં સંતોષવામાં આવે તો આગામી સમયમાં હડતાળ ઉપર જવા સુધી નિર્ણય લેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

(9:42 pm IST)