Gujarati News

Gujarati News

News of Sunday, 19th March 2023

ભાલ પ્રદેશમાં થતા પ્રખ્યાત ‘ભાલીયા ઘઉંની’ હવે ભરૂચમાં ખેતી

રોટલી જેમ ઠંડી થાય તેમ પોચી બને, કંસાર, લાપસી, લાડુની મીઠાશ માટે આ ઘઉં અતિઉત્તમ

ભરૂચ :ભરૂચ ભૌગોલિક દ્રષ્ટિએ આગવી વિશેષતાઓ ધરાવતો જિલ્લો છે. તેની વિશેષતાની વાત કરીયે તો, ભરૂચની પૂર્વેપટીએ ડુંગરોની હારમાળા, પશ્રિમે હળવો ખારોપાટ ધરાવતાં વિશાળ મેદાનો આવેલા છે. વિશાળ સમુદ્ર કિનારા સાથે ખંબાતનો અખાત પણ આવેલો છે. આમ જમીન, જંગલ અને દરિયાના કારણે ભરૂચ જિલ્લો કૃષિ ક્ષેત્રે, વન્ય સંપદા, ખનિજ સંપદા અને ઔદ્યોગિકરણને લઈ ફૂલ્યો - ફાલ્યો છે.

કૃષિક્ષેત્રે ભરૂચ જિલ્લામાં વિવિધત્તમ ધન -ધાન્ય પાકો સાથે વિદેશોમાં થતાં ફૂલ, ફળ અને વઘુમાં મીઠાંની પણ ખેતી થતી આવી છે. વધુમાં ભરૂચના કાનમ પ્રદેશમાં ખેડુતો માટે સફેદ સોનું કહેવાતા કપાસની મબલક ખેતી તો થાય છે. પણ હવે એકંદરે ભાલ પ્રદેશમાં થતા ભાલીયા ઘઉંની ખેતી ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ખેડૂતો ઉત્પાદન મેળવી સારામાં સારી આવક મેળવી છે.

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં અંદાજિત 5600 હેકટરથી વધુ જમીન આવેલી છે. તાલુકામાં મોટાભાગના વિસ્તારોમાં સૂકી જમીન આવેલી છે. જેને પગલે વાગરા તાલુકાના કેશવાણ ગામના ખેડૂત મોટા ભાગે વરસાદ આધારિત પરંપરાગત જ ખેતી કરે છે. ત્યારે વાત કરીએ, વાગરા તાલુકાના કેશવાણ ગામના ખેડૂત દાદુભાઈ કાનુભાઈ ગોહિલે એસ.વાય. બી.કોમ સુધીનો અભ્યાસ જ કર્યો છે. હાલ છેલ્લા 10 વર્ષથી ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. કેશવાણ ખાતે કપાસ,મગ,તુવેર,મઠિયા, અને ઘઉંની ખેતી કરવામાં થાય છે. પણ આ બધાંથી વિપરીત સિંચાઈના પાણી વિના જ પાકતા ઘઉનું વાવેતર તેમણે કર્યું હતું. હાલ, ધઉનાં પાકનું લણણી થતાં સારામાં સારું ઉત્પાદન તેમણે મેળવ્યું છે.

 

કેશવાણ ગામના ખેડૂત દાદુભાઈ ગોહિલ જણાવે છે કે, પ્રોટીનથી ભરપૂર અને સ્વાદમાં મીઠા એવા ભાલીયા ઘઉંની જાતની વિશેષતા એ છે કે આ ઘઉં સિંચાઈના પાણી વિનાં જ ઉગાડવામાં આવે છે. વરસાદનું પાણી ઉતરતા ઓક્ટોબરના અંતથી નવેમ્બરના પહેલા અઠવાડીયા સુધીમાં વાવેતર શરૂ કરવામાં આવે છે. માર્ચ મહિનામાં તેના બાદ પાકની લણણી કરવામાં આવે છે. ભાલીયા ઘઉંની જાતને વરસાદ અને સિંચાઈના પાણીની જરૂરીયાત રહેતી નથી કારણ કે તેની ખેતી માટીમાં રહેલ ભેજ પર કરવામાં આવે છે.

 

ભાલીયા ઘઉંની વાત કરીએ તો તે સ્વાદમાં મીઠા હોય છે. આ ઘઉંની રોટલીમાં એક અલગ જ મીઠાશ હોય છે. તેની રોટલી જેમ ઠંડી થાય તેમ પોચી બને છે. કંસાર, લાપસી, લાડુની મીઠાશ માટે આ ઘઉં ઉત્તમ માનવામાં આવે છે. તેને જ કારણે ભાલીયા એટલે કે છાસિયા ઘઉંનો ભાવ બીજા ઘઉં કરતાં 3 ગણો વધુ હોવાથી તે મોટા ભાગે શ્રીમંતોના ઘઉં તરીકે ઓળખવામાં આવે છે.

(5:34 pm IST)