Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને મહેસાણા સરકીટ હાઉસ ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ

પ્રવર્તમાન સ્થિતિમાં સાવચેતી સલામતિ અને સતર્કતા રાખી રાજ્ય સરકાર દ્વારા કોરોના સામે લેવાઈ રહેલા પગલાંઓમાં સહયોગ આપવા જિલ્લાના નાગરિકોને અનુંરોધ:જિલ્લામાં ઝુંબેશના સ્વરૂપમાં લાભાર્થી નાગરિકોને રસીકરણ માટે સુચનો કરાયા

મહેસાણા: મહેસાણા જિલ્લામાં શહેર તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના  કેસ, ટેસ્ટિંગ ,ટ્રેસિંગ,કોવિડ ડેડિકેટેડ  હોસ્પિટલો,બેડની સંખ્યા,ઓકિસજનની સુવિધા, વેન્ટીલેટર,દવાઓ , સારવારની સુવિધા,આરોગ્ય સ્ટાફ સહિતની વિગતો મેળવીને કોરોના નિયંત્રણ અને જરૂરી  વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા વહીવટી તંત્રને માર્ગદર્શન નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે આપ્યું હતું.
  નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે કોરોનાને નિયંત્રીત કરવા માટે વહીવટી તંત્ર ખડેપગે કામ કરી રહ્યું છે. જિલ્લામાં ૩,૧૪,૬૮૯ ટેસ્ટીંગ કરવામાં આવેલ છે.આ ઉપરાંત નાગરિકોને રસીકરણ માટે અપીલ કરતાં જણાવ્યું હતું કે જિલ્લામાં ૨૨૫ સરકારી અને ૦૯ ખાનગી કેન્દ્રો દ્વારા આજ દિન સુધી ૩,૬૬,૭૪૯ નાગરિકોનું રસીકરણ કરાયું છે.કોરોના દર્દીઓને ખર્ચનું ભારણ ઓછુ થાય તે માટે સરકારે રૂ ૩૦૦૦નો એચ.આર.સીટી દર નક્કી કરી તેની અમલવારી શરૂ કરાઇ છે.
  નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે આરોગ્યની સુખાકારી સુવિધાને પગલે કોરોના ૬,૮૩૭ દર્દીઓ સ્વસ્થ થયા છે. જિલ્લામાં ૭૦૦૫ રેમડેસીવીર ઇન્જેકશન પુરા પાડવામાં આવેલ છે.જે જરૂરીયાત પ્રમાણે દર્દીઓને આપવામાં આવી રહ્યા છે.જિલ્લામાં દર્દીઓને ઓક્સિજનની પુરતી સુવિધા મળી રહે તે માટે સતત પ્રયત્નો કરાઇ રહ્યા છે.
  નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લામાં ૫૯ ધનવંતરી ટીમો દ્વારા સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં સરકારી હોસ્પિટલો ઉપરાંત ૪૩ જેટલી ખાનગી હોસ્પિટલોને કોવિડની સારવાર માટે મંજુરી અપાઇ છે.  તેમણે ઉમેર્યું હતું કે નાગરિકો સાવચેતી અને સલામતી રાખે તે જરૂરી છે. જિલ્લામાં માસ્કની કડકાઇથી અમલવારી માટે જિલ્લા પોલીસ અધિક્ષકને સુચના આપેલ છે તેમ જણાવી નાગરિકોને ફરજીયાત માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ રાખવા માટે અપીલ કરી હતી.
નાયબ મુખ્યમંત્રી પટેલે જણાવ્યું હતું કે કોરોના દર્દીઓની સૌથી વધુ જરૂર ઓક્સિજનની પડે છે તે માટે ઓક્સિજન બેડ વધારવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજન ઉપલ્બધ થાય તેવી કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લામાં ૧૪૩૪ પથારીઓમાંથી ૧૩૩ પથારીઓ ખાલી છે.નાગરિકોની સલામતી માટે આગામી સમયમાં વસંતપ્રભા વડનગરમાં ૫૦ બેડ,જીવનધારા સતલાસણામાં ૩૭ બેડ, એસ.ડી.એચ વિસનગરમાં ૨૦ બેડ, મેન્ટલ હોસ્પિટલ મહેસાણામાં ૨૭ બેડ, બેચરાજી સી.એચ.સીમાં ૧૦ બેડ અને  વિજાપુરની ખાનગી આશ હોસ્પિટલમાં નવીન ૨૫ બેડની સુવિધા સહિત ઝાયડસ ગુ્પ દ્વારા બેચરાજી ખાતે પણ કોવિડ હોસ્પિટલ શરૂ થનાર છે.આ ઉપરાંત ભાન્ડુ નર્સીગ કોલેજ,વિસનગર મર્ચન્ટ નર્સીંગ કોલેજમાં વ્યવસ્થા ઉભી થનાર છે.
  નાયબ મુખ્યમંત્રી ઉમેર્યું હતું કે જિલ્લામાં કોવિડ કેર સેન્ટરો શરૂ કરાયા છે. ગરીબ અને મધ્યમ વર્ગીય અને જરૂરીયાત મંદ દર્દીઓ માટે  કોવિડ કેર સેન્ટરમાં માઇલ્ડ દર્દીઓની ભોજન અને આરોગ્ય સહિતની સેવાઓ આપવામાં આવે છે.આ ઉપરાંત જિલ્લામાં નાગરિકોને રૂ ૦૧ના ટોકન દરથી થ્રી લેયર માસ્ક મળી રહે તે માટે જિલ્લાની પાલિકાઓ અને માર્કેટયાર્ડો દ્વારા મોટાપાયે ખરીદી કરી માસ્કનું વિતરણ કરવામાં આવનાર છે.જિલ્લામાં સંસ્થાઓ,નાગરિકો અને સેવાભાવી દાતાઓના સહયોગથી જરૂરીયાત મંદ નાગરિકોને માસ્કનું વિતરણ જિલ્લામાં કરવામાં આવનાર છે.
બેઠકમાં સંસદ સભ્ય શારદાબેન પટેલ,રાજ્યસભા સંસદ સભ્ય જુગલસિંહ લોખંડવાલા,પ્રભારી સચિવ ધનંજ્ય દ્વિવેદી,જિલ્લા કલેકટર એચ.કે.પટેલ,જિલ્લા પોલીસ અધિક્ષક ડો પાર્થરાજસિંહ ગોહિલ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી પ્રદિપસિંહ રાઠોડ,ધારાસભ્ય સર્વે કરશનભાઇ સોલંકી ,ડો આશાબેન પટેલ,ઋષિકેશ પટેલ,,અજમલજી ઠાકોર,રમણભાઇ પટેલ,નગરપાલિકાના પ્રમુખઓ, અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(10:12 pm IST)