Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

એનઆરઆઇ ડબલ ધમાકાઃ મતદાન કરશે અને પ્રમુખ સ્‍વામી મહોત્‍સવમાં ભાગ લેશે !

દોઢથી બે લાખ બિનનિવાસી ગુજરાતીઓ, એનઆરઆઇ ડિસેમ્‍બરમાં ગુજરાત આવશે : મોટા ભાગની ફલાઇટ્‍સ ફૂલ, એરલાઇન્‍સના સામાન્‍ય એરફેર કરતાં દોઢથી બે ગણા ભાડા થયા

અમદાવાદ,તા. ૧૯ : ગુજરાતમાં ડિસેમ્‍બર મહિનામાં બે મહાપર્વ ઉજવવા જઇ રહ્યા છે. પહેલો પર્વ વિધાનસભાની ચૂંટણીનો લોકશાહીનો પર્વ અને બીજો છે વિશ્વભરમાં હિન્‍દુ સંસ્‍કૃતિની જયોતિને અખંડ રાખવાનો પ્રયાસ કરનાર બોચાસણવાસી અક્ષર પુરૂષોતમ સ્‍વામીનારાયણ સંસ્‍થાન (બીએપીએસ)ના પ્રમુખ સ્‍વામીની જન્‍મશતાબ્‍દીનો મહોત્‍સવ આ બેવડા મહાપર્વનો લાભ લેવા માટે ગુજરાત અને દેશ બહાર વસી રહેલા સેંકડો ગુજરાતીઓએ વેળાસર વતની વાટ પકડવાની તૈયારીઓ પુરી કરી લીધી છે. આને લીધે ડિસેમ્‍બર માસમાં ગુજરાત, ભારતના એરફેર બમણાંથી વધી ગયા છે.

લાંબા સમયથી ગુજરાતીઓ અમેરિકા, કેનેડા, બ્રિટન, આફ્રિકા, જર્મની, ઇટાલી, ફ્રાન્‍સ સહિતના દેશોમાં વ્‍યવસાય, ધંધા રોજગાર અને અભ્‍યાસ માટે વસવાટ કરી રહ્યા છે. પરંતુ આવા ભારતીયો ગુજરાતીઓની સંખ્‍યા કરોડોમાં થવા માડી છે. અલબત ગુજરાતમાં ચૂંટણીઓ હોય એ પણ વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓમાં મતદાન કરવા માટે અચૂક આવનાર બિનનિવાસી ગુજરાતીઓનો વર્ગ સમૂહ હજારોમાં જાય છે. આ જ કારણથી રાષ્‍ટ્રીય રાજકીય પક્ષો કોંગ્રેસ અને ભાજપમાં એનઆરઆઇ માટે વિશેષ સેલ હોય છે. અમેરિકા અને બ્રિટનમાં વસતા ગુજરાતીઓમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી પ્રત્‍યે વિશેષ આકર્ષણ છે. વિકસિત દેશોની હરોળમાં ભારતને લાવવા પ્રયાસો, વિદેશ નીતિ તેમજ ભારતનો હવે અવાજ વિશ્વના નેતાઓ સાંભળી રહ્યા છે એનાથી ગુજરાતમાં થતી રાજકીય હલચલ પર નજર રાખતા ગુજરાતીઓ આ વખતે ચૂંટણીમાં મતદાન કરવાની સાથોસાથ કોવિડના બે અઢી વર્ષથી પોતાના સગાસંબંધીઓને મળવા, પરિવારના સભ્‍યોના લગ્નો તેમજ પ્રમુખ સ્‍વામી શતાબ્‍દી મહોત્‍સવનો લ્‍હાવો લેવા નવેમ્‍બરના અંતથી ગુજરાત આવવાની શરૂઆત કરશે.

અમેરિકા અને કેનેડાથી ગુજરાત, ભારત માટેની રિટર્ન ફલાઇટના ફેર સામાન્‍ય ફેર કરતાં બમણાં થઇ ગયા છે. એમાં ડિસેમ્‍બર એટલે કે ક્રિસમસ તો એક કારણ ખરૂં, પરંતુ એક સાથે આટલી મોટી સંખ્‍યામાં ગુજરાત આવવા માટેની ફલાઇટ્‍સ બુક થઇ રહી છે, તેમ અમેરિકામાં ટ્રાવેલ્‍સ બુકિંગનું કામકાજ કરતાં તુષાર પટેલે જણાવ્‍યું હતું. ન્‍યુજર્સીમાંથી જ મોટી સંખ્‍યામાં સત્‍સંગીઓ હાલ અમદાવાદ આવી પહોંચ્‍યા છે. અમદાવાદ ઉપરાંત ખેડા, આણંદ, નડિયાદ, સુણાવ, નાર જેવા નગરોમાં લાંબાસમયથી બંધ શેરીઓમાં ગાડીઓની હલચલ વધી ગઇ છે. મકાનો સાફસુફ થઇને સ્‍વચ્‍છ થઇ ગયા છે. એક અંદાજ મુજબ દોઢથી બે લાખ કરતાં વધુ એનઆરઆઇ, બિનનિવાસી ગુજરાતીઓ પ્રમુખ સ્‍વામી જન્‍મશતાબ્‍દિમાં ભાગ લેવા આવનારા છે. કોંગ્રેસ અને ભાજપના એનઆરઆઇ સેલ દ્વારા વિદેશમાં રહેતા પોતાના કાર્યકરોનો સંપર્ક કરી તેમને પ્રચાર માટે ખાસ બોલાવાયા છે. આવા ત્રણ થી ચાર હજાર જેટલા આગેવાનો ગુજરાત આવી પહોંચ્‍યા છે.

(10:10 am IST)