Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

આણંદ : ઠક્કર ખમણવાળાના પત્નીનું મોત : ભાઇએ હત્યાની આશંકા દર્શાવી : PM રીપોર્ટની જોવાતી રાહ

સુરત રહેતા સાસરિયા આવ્યા તે પહેલા અંતિમવિધિની તૈયારી : સમગ્ર પ્રકરણ પોલીસમાં

વડોદરા તા. ૨૦ : આણંદના જાણીતા ઠક્કર ખમણવાળાના પત્નીનું શંકાસ્પદ મૃત્યુ થતાં ભારે ચર્ચા જાગી છે. પરિણીતાના પીયરીયાઓએ હત્યાની શંકા વ્યકત કરતા મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બોરસદ-આણંદ રોડ ઉપર આવેલી લેગસી સોસાયટીમાં રહેતા અને ઠક્કર ખમણ હાઉસથી સમગ્ર વિસ્તારમાં પ્રખ્યાત એવા અમિત ઠક્કરના લગ્ન સુરત ખાતે રહેતી રોક્ષા (ઉં.આશરે વર્ષ ૩૫) નામની યુવતી સાથે પંદર વર્ષ પહેલાં થયા હતા. તેમને સંતાનમાં એક પુત્રી અને પુત્ર છે. મંગળવારે સવારે તેમનું બાથરૂમમાં નાહવા જતા સમયે શંકાસ્પદ મોત નીપજયું હતું. આ બાબતે સાસરીપક્ષવાળાઓએ તેના પિયરિયાને ફોન કરી રોક્ષાને પડી જવાથી ઈજા થવાનું જણાવ્યું હતું. બાદમાં થોડા જ સમય પછી ફરી ફોન કરીને તેનું મોત નીપજયું હોવાની જાણ કરી હતી, જેને પગલે સુરતમાં રહેતા પરિણીતાનાં પરિવારજનો ડઘાઈ ગયાં હતાં. તેઓ બોરસદ સ્થિત નિવાસસ્થાને આવ્યાં એ પહેલાં તેના અંતિમવિધિની તૈયારીઓ શરૂ કરી દેવાઈ હતી.

સમગ્ર ઘટનામાં યુવતીના મોતને લઈને શંકા જતાં મૃતકના ભાઈ ધવલ ગંગદેવે અંતિમવિધિ પહેલાં મૃતકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે એવી માગ કરી હતી. બુધવારે તેનું કરમસદ ખાતે પીએમ કરતાં ગળાના ભાગે નિશાન મળી આવ્યાં હતાં. જોકે હાલમાં ફોરેન્સિક રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આ મામલે બહેનના મૃત્યુ પાછળ તેનાં સાસરિયાંનો હાથ હોવાની શંકા ભાઈ ધવલે વ્યકત કરી છે.

(2:48 pm IST)