Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

પ્રગટેશ્વર ધામ આછવણીના ધર્માચાર્ય પરભુદાદાના સાનિધ્‍યમાં જલારામબાપાના વીરપુર ધામમાં ૧૦૮ કુંડી શ્રીરામ યજ્ઞ સંપન્ન

જલારામબાપાના દર્શને આવેલી ૨૨ જેટલી વિધવા બહેનોને ઠંડીથી રક્ષણ મળી રહે તે હેતુસર ગરમ ધાબળાનું વિતરણ કરાયું હતું.

(કાર્તિક બાવીશી દ્વારા ) પ્રગટ પ્રગટેશ્વર મહાદેવ મંદિર આછવણીના ધર્માચાર્ય પરભુદાદા અને રમાબાના સાનિધ્‍યમાં સુપ્રસિધ્‍ધ જલારામબાપાના વીરપુર ધામમાં માવતર વૃદ્ધાશ્રમના પટાંગણમાં ૧૦૮ કુંડી શ્રીરામ યજ્ઞ ભક્‍તિભાવપૂર્વક સંપન્ન થયો હતો. યજ્ઞના આગલા દિવસે વીરપુર ખાતે ભગવાન સત્‍યનારાયણની કથા પણ કરવામાં આવી હતી.

યોગીધામ, સમઢીયાળા-૧, (બોટાદ) યુગ દિવાકર સંત પૂ.નિર્મલસ્‍વામીજીએ ધર્માંચાર્ય પરભુદાદાને જીવ-પ્રાણી માત્રની નિઃસ્‍વાર્થ સેવા તથા લૌલિક જીવનની ઉત્‍થાનપ્રદ વિશિષ્‍ટ પ્રવૃત્તિ પ્રતિ સમર્પિત માનવતાના તેજપુંજ સમાન પ્રેરણામૂર્તિ ગણાવી સેવાભૂષણ એવોર્ડ એનાયત કરવામાં આવ્‍યો હતો.
યજ્ઞ સ્‍થળ માવતર વૃદ્ધાશ્રમ-વીરપુર ખાતે ધજારોહણ કરી ભગવાન શ્રીરામ તેમજ જલારામબાપાને અને માતા વિરબાઈના જન્‍મસ્‍થળ આટકોટ ખાતે ધજારોહણ કરી વિરબાઈને યજ્ઞમાં ઉપસ્‍થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્‍યું હતું. ધર્માચાર્ય પરભુદાદા, રમાબા તેમજ પ્રગટ પ્રગટેશ્વર સેવા સમિતિ-આછવણી દ્વારા જલારામધામ ખાતેના ભિક્ષુકોને તેમજ જલારામબાપાના દર્શને આવેલી ૨૨ જેટલી વિધવા બહેનોને ઠંડીથી રક્ષણ મળી રહે તે હેતુસર ગરમ ધાબળાનું વિતરણ કરાયું હતું. જ્‍યારે માવતર વૃદ્ધાશ્રમમાં રહેતી મહિલાઓને સાડી તેમજ ભાઈઓને પેન્‍ટ-શર્ટના કાપડનું વિતરણ કરાયું હતું.
આ શુભ અવસરે ધર્માંચાર્ય પરભુદાદાએ ભગવાન જલારામબાપા સૌની ઉપર અમી દ્રષ્‍ટિ રાખી સૌનું કલ્‍યાણ કરે તેવા શુભ આશીર્વાદ પાઠવતાં જણાવ્‍યું હતું કે, જલારામબાપાએ સૌને રોટલો અને ઓટલો આપ્‍યો જેથી ભગવાનને તેમની પાસે માંગવા માટે આવવું પડયું હતું. આપણે સૌ ભગવાન પાસે માંગીએ છીએ, પણ ભગવાન જેમની પાસે માંગે એવા જલારામબાપાના પવનધામમાં આપણે શ્રીરામ યજ્ઞ કરી ભગવાનને પ્રસન્ન કરી દીધા છે, જેનું ફળ આ યજ્ઞમાં ભાગ લેનારને અવશ્‍ય મળશે. આપણા અનેક જન્‍મના પુણ્‍યના પ્રતાપે આપણે અહીં મળી શક્‍યા છીએ. આ વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધો તેમના પુણ્‍ય પ્રતાપે આ યજ્ઞમાં સહભાગી બન્‍યા છે.
યોગીધામ, સમઢીયાળા-૧, બોટાદના યુગ દિવાકર સંત પૂ.નિર્મલસ્‍વામીજીએ જણાવ્‍યું હતું કે, જલારામબાપા દરેકના હૃદયમાં બિરાજમાન છે અને તેમણે ભક્‍તોનો પોકાર સાંભળી અનેકના સંકલ્‍પો પુરા કર્યા હતા અને આજે પણ કરી રહયા છે. ગૃહસ્‍થમાં રહીને પણ પરભુદાદા જે સેવાકીય અને ધાર્મિક કામગીરી કરી રહયા છે, જે મહાન અલૌકિક ભકત જ કરી શકે છે. જેના ભાગ્‍ય મોટા હોય તેમને જ સાચા સંતના દર્શન થાય છે, ત્‍યારે જેમને પરભુદાદા જેવા સંતનું શરણું મળ્‍યું છે, તે તમારું અહોભાગ્‍ય છે. તેમણે માવતર વૃદ્ધાશ્રમ, વીરપુરના સેવાકાર્યને બિરદાવી સૌને બનતી મદદ કરવા અપીલ કરી હતી.
આ શુભ અવસરે પ્રગટેશ્વર ધામના પ્રમુખ બીપીનભાઈ પરમારે જણાવ્‍યું હતું કે, ધર્માંચાર્ય પરભુદાદા સાચા અર્થમાં હીરા છે, જેઓ સફેદ વષાોમાં છુપાયેલા છે, જેમને ભાગ્‍યશાળીને જ દર્શન થાય છે. આ યજ્ઞના આયોજનમાં સહયોગી માવતર વૃદ્ધાશ્રમના સંચાલક મુળુભા, વિરપુરના ધવલભાઈ, પ્રગટેશ્વર સેવા સમિતિના શિવભક્‍તો સહિત નામી-અનામી સૌ સહયોગીઓનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો. તા.૧૮મી જાન્‍યુઆરીએ માતા વિરબાઈની પુણ્‍યતિથિ ને લક્ષમાં રાખી પૂ.પરભુદાદાએ યજ્ઞની તારીખ નક્કી કરી હતી. તા.૧૭મીને સોમવારે પૂનમ હતી જે તા.૧૮મીએ સવારે ૩.૩૦ વાગે પુરી થતી હોય દાદાની કૃપાથી યજ્ઞ પૂનમની અંદર જ પૂર્ણ થયો હતો.
જલારામબાપાના પવિત્ર ધામમાં યોજાયેલા યજ્ઞને સફળ બનાવવા પ્રગટેશ્વર મંદિરના આચાર્ય અનિલભાઈ જોશી, કશ્‍યપભાઈ જાની, પ્રગટેશ્વર મહાદેવ મંદિર સમિતિના સંનિષ્‍ઠ કાર્યકર્તાઓ સર્વે અમીતભાઈ પટેલ- નવસારી, અપ્‍પુભાઈ-દમણ, કૃપાશંકરભાઈ યાદવ-અતુલ, હેમંતભાઈ પટેલ-વલસાડ, અજયભાઈ પટેલ-વલસાડ, પ્રવીણભાઈ પટેલ-નવસારી, મયંકભાઇ બ્રહ્મભટ્ટ-ધરમપુર, ઝીકુભાઈ પટેલ-સેલવાસ, અશોકભાઈ પટેલ- કામરેજ, ભાવનગરના પત્રકાર મનીષભાઇ, વિરપુરના ધવલભાઈ અને તેમની સમગ્ર ટીમ, મહારાષ્‍ટ્ર શિવ પરિવારના પ્રમુખ આર.કે.ખાંદવે સહિત શિવ પરિવારના શિવભક્‍તોનો સહયોગ પ્રાપ્‍ત  થયો હતો.

(7:54 pm IST)