Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક મહા મંડળ સાથે સંકળાયેલા ૧૧૦૦ જેટલા ટુર ઓપરેટરોને સમસ્યા મુદ્દે ધરણા બાદ આર.સી. ફળદુએ ખાતરી આપતા પારણા

અમદાવાદ: અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક મહામંડળના પ્રમુખ દિનેશ અણઘણ પારણા કરશે. વાહન વ્યવહાર મંત્રી આર.સી ફળદુ તરફથી મહામંડળના પ્રશ્નોના નિરાકરણ માટે આશ્વાસન આપવામાં આવતા ઘરણાં પૂર્ણ કરાશે. અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક મહામંડળ સાથે સંકળાયેલા 1100 જેટલા ટુર ઓપરેટરને થઈ રહેલી સમસ્યાને લઈને સતત સરકારને રજૂઆત કરાઈ રહી હતી.

મહામંડળની રજુઆત સરકારે ધ્યાને ના લેતા પ્રમુખ દિનેશ અણઘણ 18 એપ્રિલથી ધરણાં પર બેઠા હતા. આખરે મહામંડળને મંત્રી આર.સી.ફળદુ તરફથી મુખ્ય 6 પ્રશ્નોના નિરાકરણની બાંહેધરી અપાઈ છે. ગઈકાલે ટેલિફોનિક વાતચીતમાં મંત્રી આર.સી.ફળદુએ મહામંડળને જણાવ્યું હતું કે સરકારને તમારા પ્રશ્નો અંગે રજુઆત કરી છે. આગામી ગુરુવારે મળનારી કેબિનેટ બેઠકમાં મહામંડળના પ્રશ્નોની સીએમ રૂપાણીને રજૂઆત કરીને ચર્ચા પણ કરાશે.

મંત્રી આર.સી.ફળદુ તરફથી મહામંડળના અગ્રણીઓને ગુરુવારે બપોરે 12 વાગે ગાંધીનગર ખાતે આમંત્રણ આપવામાં આવ્યું છે. જો ગુરુવારે કેબિનેટ બેઠક બાદ પણ મહામંડળના પ્રશ્નોનું નિરાકરણ ના આવે તો મહામંડળ દ્વારા આક્રમક વલણ અપનાવવામાં આવશે. મહામંડળના પ્રમુખ દિનેશ અણઘણે જણાવ્યું કે ગુરુવારે જો અમારા મુખ્ય 6 પ્રશ્નો હલ નહીં થાય તો જે તે જિલ્લા RTO પર અમે અમારી સ્લીપર કોચ, 2×2, 2×3, મીની બસ, ટેમ્પો ટ્રાવેલ બસો જમા કરાવી દઈશું.

મહામંડળના પ્રમુખે જણાવ્યું કે, 26 એપ્રિલે રાજ્યની તમામ 11,000 જેટલી બસો RTO માં જમા કરાવીશું. પ્રત્યેક ટુર ઓપરેટરો એક બસ પેટે અંદાજે 25 હજાર રૂપિયાનો ટેક્સ જમા કરાવે છે, રાજ્યમાં અંદાજે 11,000 જેટલી બસો હાલ માર્ગો પર દોડે છે, છેલ્લા એક વર્ષથી કોરોના મહામારીને કારણે અમે તમામ લોકો પરેશાન છીએ. છેલ્લા 11 મહિનાથી કોઈ ધંધો જ નથી, છતાંય અમને હજુ કોઈ મદદ કરાઈ નથી. જેમની પાસે RTPCR રિપોર્ટ નથી એવા લોકો પાસેથી રિપોર્ટના બદલે 300 રૂપિયા બોર્ડર પર પડાવવામાં આવે છે.

અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક મહામંડળના પ્રશ્ન:

1. એમ વી ટેક્સમાં પ્રથમ 6 મહિના સંપૂર્ણ પછીના 6 મહિના 50 ટકા રાહત

2. નોન યુઝ એડવાન્સ ટેક્સમાંથી કાયમી ધોરણે મુક્તિ

3. મરણપથારીએ રહેલા ટ્રાવેલ્સ ઉદ્યોગને આર્થિક સહાય પેકેજ

4. બોર્ડર પર RTPCR ને બદલે રેપીડ રેપીડ ટેસ્ટ અન્ય કરો

5. RTO ની હેરાનગતિ દૂર કરવામાં આવે

6. પ્રાણ પ્રશ્નો માટે સરકાર સાથે સંકલન મિટિંગનું આયોજન કરવામાં આવે

(5:07 pm IST)