Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

સુરતનો કાપડ વ્‍યવસાય ફરી મંદીમાં: ખરીદેલો માલ ન વેચાતા વેપારીઓ મુશ્‍કેલીમાં: દુકાનમાં કાપડના ઢગલા

સુરતમાં રોજ ચાર કરોડ મીટર કાપડનું ઉત્‍પાદન થાય છેઃ લગ્નસરાની સીઝન છતાં 70 ટકાથી ઓછી ઘરાકી

સુરતઃ જીવનજરૂરી ચીજવસ્‍તુઓ મોંઘી થતા સુરતમાં કાપડ ઉદ્યોગ પર તેની અસર જોવા મળી છે. લગ્નસરાની સીઝન હોવા છતાં વેપારીઓને પુરતા ઘરાક ન મળતા વ્‍યવસાયમાં મંદી આવી જતા દુકાનમાં કાપડના ઢગલા જોવા મળે છે. કરોડો મીટર કાપડ ઉત્‍પાદન થતુ હોવાથી 70 ટકાથી પણ ઓછી ખપત થવાથી વેપારીઓમાં નિરાશા જોવા મળી છે.

દેશમાં પેટ્રોલ, ડીઝલ, ગેસ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ મોંઘવારીના કારણે આસમાને પહોંચ્યા છે. ત્યારે લોકોએ મોંઘવારી સામે પોતાના ખર્ચમાં પણ ઘટાડો કર્યો છે. માંડ માંડ કોરોના બાદ પાટા પર આવેલો કાપડનો વ્યવસાય ફરી મંદી સામે ઝઝૂમી રહ્યો છે. આ વખતની મંદીની અસર અત્યાર સુધીની સૌથી ખરાબ કહેવામાં આવી રહી છે. લગ્નસરાની સીઝન હોવા છતાં વેપાર પર 70 ટકા અસર જોવા મળી રહી છે. જેને કારણે કાપડના વેપારીઓને રડવાનો વારો આવ્યો છે. ખરીદેલો માલ નહિ વેચાતા દુકાનમાં કપડાના ઢગલા જોવા મળી રહ્યાં છે.

સુરતનો કાપડ ઉદ્યોગ સમગ્ર વિશ્વમાં જાણીતો છે. જો કે આ કાપડ ઉદ્યોગને પણ કોઈની નજર લાગી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે પહેલાં નોટબંદી, બાદમાં કોરોના અને હવે મોંઘવારીને કારણે માર્કેટમાં મંદી જોવા મળી રહી છે. સુરતમાં દરરોજ ચાર કરોડ મીટર કાપડનું ઉત્પાદન થાય છે. હાલ લગ્નસરાની સીઝન ચાલી રહી છે અને વેપારીઓને આશા હતી કે આ સિઝનમાં કાપડની ડિમાન્ડ દેશભરમાં સારી રહેશે અને અગાઉ થયેલી નુકશાનીની ભરપાઈ થઈ જશે. પરંતુ હાલ દેશમાં સતત વધી રહેલી મોંઘવારીના કારણે ટેક્સટાઈલ ઉદ્યોગમાં કાપડની ડિમાન્ડ ખૂબ જ ઓછી જોવા મળી રહી છે. જેની સીધી અસર કાપડ ઉદ્યોગ પર જોવા મળી છે.

હાલ ટેક્સટાઇલ ઉદ્યોગ મંદીમાંથી પસાર થઇ રહ્યો છે. જેમાં વેપારીઓનું માનવું છે કે લગ્નસરાની સિઝનમાં આવી મંદી અત્યાર સુધી જોવા મળી નથી. ફેડરેશન ઓફ ટેકસટાઇલ ટ્રેડર્સ એસોસિએશનના ડિરેક્ટર રંગનાથ શારદાએ જણાવ્યું હતું કે, સતત વધી રહેલા પેટ્રોલ અને ડિઝલના ભાવની સાથો સાથ યાર્નના પણ ભાવમાં વધારો નોંધાયો છે. મોંઘવારી વધતા લોકોએ કાપડની ખરીદી ઓછી કરી દીધી છે. અગાઉ રમજાન અને લગ્નસરાની ખરીદી સારી હતી. ટ્રકો ઓછી પડી રહી હતી. રોજે 400 થી 450 જેટલી ટ્રકો સુરતથી રવાના થતી હતી. પરંતુ આજે આ આંકડો 100 પર આવી ગયો છે.

વેપારી અનિલ જૈને કહ્યુ કે, જૂન-જુલાઈમાં વરસાદના કારણે ખરીદી આમ પણ ઓછી થતી હોય છે. પરંતુ લગ્નસરાની સીઝનમાં આટલી હદે ઓછી ખરીદી હશે એ અંગે કલ્પના કરી ન હતી. હવે રક્ષાબંધનની ખરીદી આવશે. જેમાં આશા છે કે વેપારીઓ પાસેથી મોટી સંખ્યામાં કાપડની ખરીદીના ઓર્ડર આવશે. હાલની મંદીને કારણે નાના વેપારીઓનો સૌથી વધુ મરો છે. કેટલાય એવા છે જેમને પોતાની ભાડાની દુકાન બંધ કરી નાંખી છે. જ્યારે કેટલાય એવા વેપારી છે જેઓ દેવાદાર બની ગયા છે.

(6:16 pm IST)