Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

અમદાવાદમાં એડમીશન લેવા જતા વિદ્યાર્થીઓને રોકી રૂપિયાની ઉઘરાણી કરતી ઓઢવ પોલીસ સામે ભારે આક્રોશ

ઉચ્‍ચ અધિકારીને રજુઆત કરતા તથ્‍યો તપાસ્‍યા બાદ પોલીસ કર્મચારી વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ

અમદાવાદઃ અમદાવાદ ઓઢવ પોલીસ સ્‍કુલમાં એડમીશન લેવા જઇ રહેલા વિદ્યાર્થી વાહનચાલકોને રસ્‍તામાં રોકી ઉઘરાણી કરતા ઉચ્‍ચ અધિકારીને રજૂઆત કરતા તથ્‍યો તપાસ્‍યા બાદ ઓઢવ પોલીસ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

અમદાવાદના મણિનગર બાદ હવે ઓઢવ પોલીસના પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે. સ્કૂલમાં એડમિશન લેવા આવી રહેલા વાહનચાલકને રોકી ખોટી રીતે પૈસાની માંગણી કરી હોવાની ફરિયાદ ઉચ્ચ અધિકારીને મળતા તથ્ય તપસ્યા બાદ પોલીસકર્મીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. બીજી તરફ જે વાહનમાં વિદ્યાર્થીઓ એડમિશન લેવા આવ્યા હતા તે વિદ્યાર્થીઓ પ્રત્યે પોલીસે માનવીય અભિગમ વાપર્યું છે. અને પોલીસ પ્રત્યે વિદ્યાર્થીઓમાં ખોટી છાપ ઉપસે નહિ તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.

સામાન્ય રીતે કોઈ પણ ના મોઢે સાંભળો તો અત્યારના સમયમાં પોલીસ કોઈ ને કોઈ રીતે બદનામ કરતી વાત જ સાંભળવા મળશે. પણ પોલીસની આવી નકારાત્મક છબીને સુધારવા આજે પણ ઉચ્ચ અધિકારીઓ અને અનેક કર્મચારીઓ પ્રયત્ન કરી રહ્યા છે. તો પણ જાણેકે સારા કામમાં બાધા નાખવા અમુક કર્મચારીઓ પ્રયત્નશીલ હોય છે એવા પણ કિસ્સાઓ સામે આવતા હોય છે. તાજેતરમાં જ અમદાવાદના મણીનગર પોલીસ સ્ટેશનનાં પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ ખોટી રીતે દારૂના કેસમાં હેરાન કરવા અને પૈસાની પડવ્યાની ફરિયાદ ઉચ્ચ અધિકારીઓને મળી હતી. જેમાં પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. ત્યારે ફરીથી આવી જ એક ઘટના ઓઢવ પોલીસ સ્ટેશનમાં બની છે.

ઘટનાની સમગ્ર વિગત એવી છે કે ગત 18મી મેના રોજ દાહોદ જીલ્લાના પંકજભાઈ બોલેરો ગાડીમાં પોતાના સંબંધીઓ સાથે ગાંધીનગરના મોટા ચિલોડા ખાતે સહજાનંદ સ્કૂલ ઓફ એચીવરમાં એડમિશન લેવા માટે જતાં હતાં તે દરમિયાન ઓઢવ વિસ્તારમાં ચેકિંગ પોઈન્ટ પર પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડના જવાનોએ તેમને ચેકિંગના બહાને રોક્યા હતાં. પોલીસે પંકજભાઈ પાસે ગાડીના કાગળો માંગ્યા હતાં. કાગળો તેમજ અન્ય દસ્તાવેજો બતાવવા છતાંય પોલીસે દંડ પેટે 10 હજારની માંગ કરી હતી. તે ઉપરાંત ગાડીમાં સવાર લોકો પાસેથી પણ બળજબરી પૂર્વક 6 હજાર રૂપિયા પણ કઢાવ્યા હતાં. સમગ્ર મામલો ઉચ્ચ અધિકારી પાસે પહોંચતા તથ્ય તપાસી ઓઢવ પોલીસ મથકના વિજયસિંહ, દીપકસિંહ તેમજ હોમગર્ડ મેહુલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

પોલીસની છાપ સુધારવા અને લોકો પ્રત્યે હંમેશા માનવીય અભિગમ દાખવનારા જેસીપી ગૌતમ પરમારે સમગ્ર હકીકત તપસ્યા બાદ પોલીસ વિરૂદ્ધ એક્શન લીધા હતા. તો સાથેજ પોલીસ પ્રત્યે બાળકોમાં ખોટી છાપ પડે નહિ અને બાળકો ને કોઈ તકલીફ પડે નહિ તેના માટે દરેક બાળકને પોલીસ કર્મચારી અને અધિકારીઓ સાથે ડિનર કરાવ્યું તેમજ દરેક બાળકને પુષ્પગુચ્છ આપી તેનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. 3 પોલીસે આરોપીઓ વિરુદ્ધ જેટલી કડક છાપ ધરાવે છે તેટલી જ નિર્દોષ લોકો સામે કોમળ છાપ પણ ધરાવે છે તેનું ઉત્તમ ઉદાહરણ અમદાવાદ પોલીસે સાર્થક કરી એક દાખલો બેસાડ્યો છે.

(6:23 pm IST)