Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

બોરસદના સૂર્ય મંદિર નજીક રસ્તો ઓળંગી રહેલ રાહદારીને અજાણ્યા વાહને ટક્કર મારતા ઘટનાસ્થળેજ મોત

આણંદ : બોરસદ શહેરના સૂર્ય મંદિર નજીક આવેલ પાંચ નાળા પાસે રસ્તો ક્રોસ કરી રહેલા એક રાહદારીને અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા રાહદારીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે બોરસદ શહેર પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ પાસેથી માહિતી મુજબ બોરસદ શહેરના સો ફૂટ રોડ પર આવેલમાં ટેનામેન્ટ સોસાયટી ભાગ-૨માં વિનોદભાઈ અંબાલાલ ચૌહાણ રહે છે. ગત તા. ૧૮મીના રોજ સાંજના સુમારે તેઓ બોરસદ શહેરના સુર્ય મંદિર પાસે આવેલ પાંચ નાળા પાસેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે એક અજાણ્યા વાહનના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે બેફિકરાઈ અને ગફલતભરી રીતે હંકારી લાવી વિનોદભાઈને ટક્કર મારી હતી. અકસ્માતને પગલે વિનોદભાઈ ઉછળીને રોડ પર પટકાયા હતા. દરમ્યાન વાહનના તોતિંગ ટાયર તેઓના શરીર ઉપર ફરી વળ્યા હતા. જેથી તેઓનું ઘટનાસ્થળે કરૂણ મોત નિપજ્યું હતું. અકસ્માતને પગલે  આસપાસથી લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનાની જાણ બોરસદ પોલીસને થતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહનો કબજો મેેળવી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. આ બનાવ અંગે બોરસદ શહેર પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(6:36 pm IST)