Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

બનાસકાંઠા જીલ્લાના થરાદ તાલુકાના મેઢાળામાં અનૈતિક પ્રેમસંબંધ અને પૈસાની લેતીદેતીમાં પ્રેમીના હાથે પ્રેમિકા અને તેના પુત્રની હત્યાઃ હત્યા કરનારની અટકાયત

બનાસકાંઠા: સરહદી વિસ્તારમાં આવેલા થરાદના મેઢાળા ગામે ચાર દિવસ અગાઉ માતા-પુત્રની ઘાતકી હત્યાનો અનડિટેકટ ગુનો પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી દીધો છે. અનૈતિક પ્રેમ સંબંધ અને પૈસાની લેતીદેતી મામલે પ્રેમીએ જ પ્રેમિકા અને તેના પુત્રની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. જેમાં થરાદ પોલીસે હત્યારા પ્રેમીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

થરાદ તાલુકાના મેઢાળા ગામે ચાર દિવસ અગાઉ માતા-પુત્રની હથિયારના ઘા ઝીંકી ઘાતકી હત્યા થઇ હોવાની ફરિયાદ થરાદ પોલીસ મથકે નોંધાઈ હતી. જેમાં મેઢાળા ગામે રહેતા ઇસરા પટેલ મજૂરી કામે ગયો હતો અને મોડી સાંજે પરત આવતા પોતાના ઘરમાં તેની પત્ની સીતા અને 13 વર્ષીય પુત્ર પરેશની હત્યા કરાયેલી લાશ જોતાં જ હતપ્રત બની ગયો હતો. ઘટનાને પગલે આજુબાજુના લોકોએ જાણ કરતા થરાદ પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી હતી.   અજાણ્યા હત્યારાઓ સામે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે હત્યારાને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી અલગ અલગ વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરી હતી.

દરમિયાન પરબત પટેલ નામના શખ્સ પર શંકા જતા તેની કડક પૂછપરછ કરતાં આ હત્યા તેણે કરી હોવાનું કબૂલ્યું હતું. પરબત પટેલ નામનો શખ્સ છેલ્લા દોઢ વર્ષથી મૃતક સીતાબેન સાથે પ્રેમ સંબંધ ધરાવતો હતો અને હત્યા કરાઈ તે દિવસે પણ તે મૃતક પ્રેમિકાના ઘરે ગયો હતો. તે વખતે સીતાબને તેના ઘરે ચુલા ઉપર રોટલી બનાવતી હતી તે વખતે પરબતે તેની સાથે શરીર સંબંધ બાંધવાની વાત કરતા સીતાબહેને ના પાડી હતી. સીતાબેને તરત જ પરબત પાસે 50 હજાર રૂપિયાની માગણી કરતા પરબતે સીતાબેનને અગાઉ પૈસા આપેલા હતા તે હજી સુધી નહી આપ્યા હોવાથી વધારે રૂપિયા આપવાનો ઇન્કાર કરતા સીતાબેને તેના ઉપર બળાત્કારનો કેસ કરીશ તેવી ધમકી ઉચ્ચારી હતી.

પરબતને બદનામ થવાનો ડર લાગતાં તેને ઘરની બહાર પડેલ કુહાડી વડે સીતાબેનને માથામાં ઉધી કુહાડીના બે ઘા મારતાં તે નીચે પડી ગયા હતા. લોહી લુહાણ થયા હતા તે સમયે સીતાબેનનો દિકરો પરેશ શાળાએથી ભણીને ઘરે પરત આવતા પરબતને તેની માતાને મારતાં જોઇ પરેશ બીકનો માર્યો ઢાળીયા છુપાઇ ગયો હતો. જેથી પોતાની હરકતની ખબર બધાને પડી જશે તેની બીકથી પરબત પટેલે તેની પાછળ જઇ તેને પણ કુહાડીના ઘા માર્યા હતા. જેના પગલે પરેશનું પણ મોત નિપજ્યું હતું. બંનેને કુહાડીના ધા માર્યા બાદ હત્યારા પરબતે કુહાડી પરનું લોહી સાફ કરવા માટે કુહાડીને માટીમાં ઘસી નાખી હતી. હત્યા કર્યા બાદ ઠંડા કલેજે પોતાના ખેતર પર જતો રહ્યો હતો. આ સમગ્ર હકિકતની કબુલાત જ્યારે પરબત પટેલે કરી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જો કે સમગ્ર હત્યા પ્રેમપ્રકરણ અને પૈસાની લેતીદેતીમાં થઇ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

(5:19 pm IST)